10 October, 2020 04:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાકેશ રોશન
બૉલીવુડ ફિલ્મમેકર રાકેશ રોશન (Rakesh Roshan) પર વર્ષ 2000માં થયેલા હુમલામાં સામેલ એક બદમાશ અને શાર્પ શૂટર પેરોલનો સમય પૂરો થયા બાદ પણ જેલમાં પરત ફર્યો ન હતો અને હવે ત્રણ મહિના બાદ તેને મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી અરેસ્ટ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, રાકેશ રોશનને જાન્યુઆરી 2000માં મુંબઈમાં તેમની સાંતાક્રુઝ ઓફિસ બહાર ગોળી મારવામાં આવી હતી. હુમલવારે 6 ગોળી ચલાવી હતી જેમાંથી બે ગોળી રોશનને લાગી હતી.
CBIના ઓફિસર અનિલ હોનરાવે શનિવારે જણાવ્યું કે, 52 વર્ષીય સુનિલ વી ગાયકવાડને શુક્રવારે રાત્રે કલવાના પારસિક સર્કલ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો. તેમણે વધુમાં કહ્યું, 'અમને જાણકારી મળી હતી કે ગાયકવાડ પારસિક સર્કલ વિસ્તારમાં આવી રહ્યો છે. અમે જાળ બનાવી અને તેને પકડી લીધો. આરોપી વિરુદ્ધ હત્યાના 11 કેસ અને હત્યાના પ્રયાસના 7 કેસ છે. તેમાં એક કેસ 2000માં ફિલ્મમેકર રાકેશ રોશનની હત્યાના પ્રયાસનો છે.'
અનિલ હોનરાવે કહ્યું, 'ગાયકવાડને જે હત્યાના કેસમાં આજીવન જેલની સજા મળી હતી અને તે નાસિક સેન્ટ્રલ જેલમાં બંધ હતો. તે 28 દિવસના પેરોલ પર આ વર્ષે 26 જૂને બહાર આવ્યો હતો. પેરોલનો સમય પૂરો થયા બાદ તેને જેલ પરત ફરવાનું હતું પણ તે આવ્યો નહીં. તેને ગઈકાલે રાત્રે અરેસ્ટ કરવામાં આવ્યો ત્યાં સુધી તે ફરાર હતો.'
આ પણ જુઓ: HBD રાકેશ રોશન: અભિનેતાથી ફિલ્મમેકર સુધીની સફર
ગાયકવાડ વર્ષ 1999 અને 2000માં ઘણો સક્રિય હતો અને ઘણા ગુનામાં સામેલ હતો. તે અલી બંદેશ અને સુભાષ સિંહ ઠાકુરની ગેંગમાં સામેલ હતો. તે સમયમાં તે નાસિકમાં થયેલી એક ચોરીમાં પણ સામેલ હતો જ્યાં તેને પોલીસ પર ગોળીબારી કરી હતી. હોનરાવે કહ્યું કે, 'ગાયકવાડને પંત નગરના પોલીસને સોંપવામાં આવશે, જ્યાં તેના ફરાર થવાનો કેસ ફાઈલ થયો છે.'