શરદ પવાર રાજકીય ભ્રષ્ટાચારના સરદાર ઉદ્ધવ ઠાકરે ઔરંગઝેબ ફૅન ક્લબના લીડર

22 July, 2024 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુણેમાં આયોજિત BJPના અધિવેશનમાં અમિત શાહે કહ્યું...

પુણેના અધિવેશનમાં કેન્દ્રીય પ્રધાન અમિત શાહ

ભારતીય જનતા પાર્ટી (BJP)નું ગઈ કાલે પુણેના મ્હાળુંગેવાડી વિસ્તારમાં એક દિવસનું અધિવેશન યોજવામાં આવ્યું હતું, જેમાં પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને નિશાના પર લીધા હતા. અમિત શાહે કહ્યું હતું કે ‘શરદ પવાર ભ્રષ્ટાચારના સરદાર છે. ભારતના રાજકારણમાં સૌથી ભ્રષ્ટ નેતા શરદ પવાર છે. તેમણે મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચાર કરવા માટે સંસ્થા શરૂ કરી. ૨૦૧૪માં અમારી સરકારે મરાઠા સમાજને આરક્ષણ આપ્યું. ૨૦૧૯માં શરદ પવારની આગેવાનીની સરકાર આવી ત્યારે તેમણે આરક્ષણ ખતમ કર્યું. અમે ફરી સત્તામાં આવ્યા ત્યારે આરક્ષણ આપ્યું છે. આમ અમારી સરકાર આરક્ષણ આપે છે અને આ લોકો સત્તામાં હોય ત્યારે જાય છે. શરદ પવાર કેન્દ્રીય કૃષિપ્રધાન દસ વર્ષ હતા ત્યારે તેમણે મુંબઈ, પુણે કે નાગપુર સહિત આખા મહારાષ્ટ્ર માટે જરૂરી યોજનાઓ પર કામ નહોતું કર્યું એને લીધે મહારાષ્ટ્રને ઘણું સહન કરવું પડ્યું છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ મુંબઈ સહિત રાજ્યના વિકાસ માટે અસંખ્ય યોજનાઓ બનાવવામાં આવી છે અને એ માટે લાખો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં ૧૯૯૩માં કરવામાં આવેલા બૉમ્બધડાકા મામલામાં દોષી ઠેરવવામાં આવેલા યાકુબ મેમણ સાથે બેસે છે. ઔરંગઝેબ ફૅન ક્લબના નેતા કોણ છે? મુંબઈ પર ૨૬/૧૧નો આતંકવાદી હુમલો કરનારા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબને બિરયાની કોણે ખવડાવી? વિવાદાસ્પદ સ્પીચ આપવા માટે જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ ઝાકિર નાઈકને શાંતિનો અવૉર્ડ કોણે આપ્યો? ઉદ્ધવ ઠાકરેને આવા લોકો સાથે બેસવામાં શરમ આવવી જોઈએ.’

લોકસભાની ચૂંટણીમાં મહેનત કરનારા પક્ષના કાર્યકરોને બિરદાવતાં અમિત શાહે કહ્યું હતું કે ‘તમે લોકસભાની ચૂંટણીમાં મહેનત કરવાને પગલે જ સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડા પ્રધાન બની શક્યા. મહારાષ્ટ્રમાં ફરી કમળ ખીલે એ માટે તમે સરકારની યોજના જનતા સુધી પહોંચાડશો એવો મને વિશ્વાસ છે.’

અમિત શાહે શરદ પવાર પર કરેલા શાબ્દિક હુમલા વિશે અજિત પવારે શું કહ્યું?

અમિત શાહે શરદ પવારને રાજકીય ભ્રષ્ટાચારના સરદાર કહ્યા છે. એ વિશે પત્રકારોએ અજિત પવારને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘હું સવારથી વિવિધ કાર્યક્રમમાં વ્યસ્ત હતો એટલે અમિત શાહનું નિવેદન મેં સાંભળ્યું નથી. આથી મને ખ્યાલ જ નથી તો શું કહું?’

amit shah uddhav thackeray sharad pawar pune pune news mumbai mumbai news