25 January, 2025 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
ત્રણ દિવસ માટે નાશિકની મુલાકાતે ગયેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરે એક દિવસના મુકામ બાદ ગઈ કાલે મુંબઈ પાછા આવી ગયા હતા. પાર્ટીની નિરાશાજનક પરિસ્થિતિ જોઈને તેમણે આખા જિલ્લાની કાર્યકારણી બરખાસ્ત કરી દીધી હતી. એટલું જ નહીં, હવે તેઓ આખા રાજ્યના તમામ જિલ્લાઓની કાર્યકારણી બદલે એવી શક્યતા છે.
નાશિકમાં પાર્ટીના પદાધિકારીઓ સાથે તેમની બેઠક હતી, પણ એ પહેલાં જ ગઈ કાલે નારાજ થઈને તેઓ પાછા આવી ગયા હતા. વિધાનસભાના ઇલેક્શનનાં રિઝલ્ટ બાદ રાજ ઠાકરે આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કમબૅક કરવા માગે છે અને એટલે જ તેમણે આખા રાજ્યમાં પાર્ટીના પદાધિકારીઓની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. જોકે નાશિકમાં પાર્ટીની પરિસ્થિતિ જોયા બાદ હવે તેઓ આગળ શું નિર્ણય કરે છે એના પર બધાની નજર છે.