રાજ ઠાકરે અને શરદ પવાર એક જ દિવસે મળ્યા એકનાથ શિંદેને

04 August, 2024 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ સહિત રાજ્યની વિવિધ સમસ્યાઓ બાબતે થઈ ચર્ચા

શરદ પવાર અને રાજ ઠાકરેએ ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત કરી હતી.

રાજ ઠાકરે અને શરદ પવારે ગઈ કાલે વારાફરતી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષામાં મુલાકાત કરી હતી. રાજ ઠાકરેએ તેમના પ્રતિનિધિમંડળ સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે બે કલાક ચર્ચા થઈ હતી, જેમાં BDD ચાલના દુકાનદારોને ૩૬૦ ચોરસ ફીટનાં ઘર મળવાં જોઈએ એની તથા પોલીસ કૉલોનીના પોલીસોનાં ઘરની સમસ્યાનો નિકાલ લાવવા સહિતની બાબતો પર વાતચીત થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

રાજ ઠાકરેની મુલાકાત બાદ શરદ પવાર વર્ષા બંગલામાં પહોંચ્યા હતા. અઠવાડિયામાં તેઓ ગઈ કાલે બીજી વખત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા. અગાઉની બેઠકમાં તેમણે મરાઠા આરક્ષણ અને ખેડૂતોના પ્રશ્નો પર ચર્ચા કરી હતી. ગઈ કાલે પણ તેમણે રાજ્યની વિવિધ સમસ્યાઓની સાથે મરાઠા આરક્ષણ બાબતે મુખ્ય પ્રધાન સાથે વાતચીત કરી હોવાનું કહેવાય છે.

mumbai news mumbai raj thackeray maharashtra navnirman sena sharad pawar eknath shinde political news