૧૦ હજાર કિલો પુણેકરોએ આટલું મિસળ બનાવીને મહાપુરુષોને આપી અનોખી આદરાંજલિ

13 April, 2024 05:31 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

મહાત્મા જ્યોતિબા ફુલે અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતી નિમિત્તે પુણેકરોએ ફેમસ શેફ વિષ્ણુ મનોહર પાસે ૧૦,૦૦૦ કિલો મિસળ તૈયાર કરાવીને અનોખી આદરાંજલિ આપી હતી.

૧૦ હજાર કિલો મિસળ

મહાત્મા જ્યોતિબા ફુલે અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતી નિમિત્તે પુણેકરોએ ફેમસ શેફ વિષ્ણુ મનોહર પાસે ૧૦,૦૦૦ કિલો મિસળ તૈયાર કરાવીને અનોખી આદરાંજલિ આપી હતી. ‍રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને કૅબિનેટ પ્રધાન ચંદ્રકાંત પાટીલે પુણે મિસળ મહોત્સવમાં સામેલ થઈને મિસળનો સ્વાદ ચાખ્યો હતો. ૧૦ એપ્રિલની રાતે મિસળ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને બીજા દિવસની બપોરે એ તૈયાર થયું હતું. 

મહાપુરુષોને અભિવાદન કરવા જનારા લોકોને આ મિસળ ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

મિસળ બનાવવા માટે ૧૫ ફુટ બાય ૧૫ ફુટની ગોળાકાર અને સાડાછ ફુટ ઊંચી ૨૫૦૦ કિલો વજનની કઢાઈમાં ૨૦૦૦ કિલો વટાણા, ૧૬૦૦ કિલો કાંદા, ૪૦૦ કિલો બટાટા, ૪૦૦ કિલો લસણ, ૧૪૦૦ કિલો તેલ, ૨૮૦ કિલો મસાલા, ૮૦ કિલો લાલ મરચાંનો પાઉડર, ૮૦૦ કિલો હળદર, ૧૦૦ કિલો મીઠું, ૨૮૦ કિલો ખોપરાનો પાઉડર, ૧૪ કિલો તમાલપત્ર, ૫૦૦૦ કિલો ફરસાણ, ૨૫૦ કિલો કોથમીર, ૨૦૦૦ નંગ લીંબુ અને ૨૦,૦૦૦ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મિસળ લોકોને આપવા માટે ૧ લાખ ડિસ્પોઝેબલ ડિશ, પીવાના પાણીના ૧ લાખ ગ્લાસ, ૧૦૦૦ કિલો દહીં અને બ્રેડના ૩ લાખ નંગ વાપરવામાં આવ્યાં હતાં. 

મહાત્મા જ્યોતિબા ફુલે અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી સમિતિના સંયુક્ત ઉપક્રમમાં આ મિસળ બનાવવામાં આવ્યું હતું.

babasaheb ambedkar pune news pune mumbai news mumbai