19 August, 2023 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લોકો જ્યાં સુધી પોતાનો ગુસ્સો વોટમાં નહીં દેખાડે ત્યાં સુધી ખાડા અને ખરાબ રસ્તાઓનો ઉકેલ નહીં આવે
મુંબઈ (પી.ટી.આઇ.) : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના વડા રાજ ઠાકરેએ શુક્રવારે મહારાષ્ટ્રમાં રસ્તાઓની હાલત પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે જ્યાં સુધી આ મુદ્દે લોકોનો ગુસ્સો ચૂંટણીમાં યોગ્ય ઉમેદવાર પસંદ કરવામાં તબદીલ નહીં થાય ત્યાં સુધી રસ્તાઓની સ્થિતિ સુધરશે નહીં.
એમએનએસ રાજ્યમાં ખાડાઓ અને રસ્તાઓની ખરાબ હાલત અંગે પ્રશ્નો ઉઠાવતી રહે છે. રાજ ઠાકરેએ પત્રકારોને જણાવ્યું હતું કે ‘ખાડાઓ કોઈ નવી વાત નથી. એ છેલ્લાં ઘણાં વર્ષોથી છે અને કૉમન મૅન એમાંથી પસાર થતો રહે છે. મારા માટે વધુ નવાઈની વાત એ છે કે નાગરિકો એવા જનપ્રતિનિધિઓને ચૂંટતા રહે છે જેઓ દર વખતે રસ્તાઓનો મુદ્દો ઉઠાવીને વોટ માગે છે. લોકો તેમને જાતિ, ધર્મ કે અન્ય બાબતોના આધારે ચૂંટે છે. જો આમ જ થતું રહેશે તો આ મુદ્દાઓનો ક્યારેય ઉકેલ નહીં આવે. જ્યાં સુધી લોકોનો ગુસ્સો ચૂંટણી દરમિયાન યોગ્ય ઉમેદવાર પસંદ કરવામાં તબદીલ નહીં થાય ત્યાં સુધી ખાડાઓનો પ્રશ્ન હલ નહીં થાય.’
રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘એમએનએસ રસ્તાઓની ખરાબ સ્થિતિ સામે આંદોલન ચલાવી રહી છે - પછી એ મુંબઈ-ગોવા હાઇવે હોય કે નાશિકના રસ્તાઓ. એમએનએસ દ્વારા વિવિધ મુદ્દાઓ પર ભૂતકાળમાં અનેક આંદોલનો થયાં છે, પરંતુ અમને શું મળ્યું? જ્યારે રાજ્યને નુકસાન પહોંચાડનારાઓ ચૂંટાઈ રહ્યા છે. મને આશ્ચર્ય થાય છે.’