11 July, 2023 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મહિનાની શરૂઆતમાં નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે પર થયેલા અકસ્માત બાદ કન્ટ્રોલ રૂમમાં વાહનચાલકો અને મુસાફરોના ફોન કૉલ્સમાં વધારો જોવા મળ્યો છે. જેઓ પેટ્રોલ પમ્પ અને હૉલ્ટ માટેના સેફ સ્પૉટ વિશે પૂછી રહ્યા છે.
ગયા વર્ષે ઉદ્ઘાટન કરાયેલો ૭૦૧ કિલોમીટરનો એક્સપ્રેસવે નાગપુરથી નાશિકમાં ભરવીર સુધી વાહનોની અવરજવર માટે ખુલ્લો છે. ૧ જુલાઈએ બુલડાણા જિલ્લામાં એક્સપ્રેસવે પર એક ખાનગી બસમાં આગ લાગવાથી ૨૬ મુસાફરો જીવતા બળી ગયા હતા. સમૃદ્ધિ કન્ટ્રોલ યુનિટના ડિવિઝન ઑફિસર આશિષ ફરાંદેએ જણાવ્યું હતું કે ‘એક્સપ્રેસવે માટે હરસુલ ખાતે એક કન્ટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. હવે લોકોએ એક્સપ્રેસવેમાં પ્રવેશતા પહેલાં જ ટોલ ફ્રી નંબર પર કૉલ કરવાનું શરૂ કરી દીધું છે. બસ-અકસ્માત બાદ અમને હૉલ્ટ માટેનાં સલામત સ્થળોની પૂછપરછ કરતા ૪૫ કૉલ્સ આવ્યા છે. લોકો પ્રવેશ અને બહાર નીકળવાનાં સ્થળોની નજીકના સ્ટૉપ લોકેશન, પેટ્રોલ પમ્પ તથા સુવિધાઓ વિશે પૂછી રહ્યા છે.’