26 November, 2023 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુરુવારે ગોળદેવળ પાસે ડીજે સાથે મ્યુઝિક વગાડવાના મામલે અથડામણ થયા પછી અહીં ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સતેજ શિંદે
મુંબઈ: ભીંડીબજારમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં ૫૦થી વધુ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે મૌલાના આઝાદ રોડ પર ગોળદેવળ મંદિર નજીક આ ઘટના બની હતી. મુસ્લિમો દ્વારા ઉર્સની ઉજવણી નિમિત્તે કેટલાક લોકો જનરેટર વૅન સાથે ટ્રકમાં ડીજે સાથે ખૂબ જોરમાં મ્યુઝિક વગાડી રહ્યા હતા અને જોર-જોરથી અવાજો કરી રહ્યા હતા એટલે એ બાબતે કેટલાક લોકોએ ઑબ્જેક્શન લીધું હતું અને કોઈ વ્યક્તિએ પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટનાએ બંને જૂથ વચ્ચે અથડામણનું સ્વરૂપ ધારણ કર્યું હતું. બાદમાં ટોળાને વિખેરવા માટે પોલીસની વધારાની ટીમ બોલાવવામાં આવી હતી. એ પછી મામલો શાંત પડ્યો હતો. જોકે એમ છતાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હોવાથી ગઈ કાલે પણ એ વિસ્તારમાં પોલીસ-બંદોબસ્ત પણ રખાયો હતો અને પોલીસ સતત પૅટ્રોલિંગ કરી રહી હતી. જે. જે. પોલીસે આ ઘટના બદલ આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.