02 June, 2024 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)
ધાર્યા મુજબ સેન્ટ્રલ રેલવેના ત્રણ દિવસના મેગા બ્લૉકના બીજા દિવસે પાંચસોથી વધારે લોકલ સર્વિસ રદ હોવાથી પ્રવાસીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી એક પણ ટ્રેન ચાલી ન હોવાથી ત્યાં ભેંકાર હતો અને કોરોનાના સમયે લૉકડાઉન વખતે સ્ટેશનનો જેવો નજારો હતો એવો જ નજારો ગઈ કાલે જોવા મળ્યો હતો. થાણે અને દાદર જેવાં મોટાં સ્ટેશનોએ પ્રવાસીઓ વધારે હેરાન થતા જોવા મળ્યા હતા. થાણેમાં તો સ્ટેશનની બહારથી બસ પકડવા માટે પ્રવાસીઓની જબરદસ્ત ગિરદી હતી. મોટી સંખ્યામાં લોકોએ ગઈ કાલે ઘરેથી જ કામ કર્યું હોવા છતાં આ પરિસ્થિતિ હતી. હવે આજે મેગા બ્લૉકના છેલ્લા દિવસે ૨૩૫ સર્વિસ રદ કરવામાં આવી છે. સેન્ટ્રલ રેલવેનું કહેવું છે કે એણે ઘણા સમયથી આ બ્લૉક માટે પ્લાનિંગ કર્યું હતું અને જો આ કામ તબક્કાવાર કરવામાં આવ્યું હોત તે એને પૂરું કરવામાં છ મહિનાનો સમય નીકળી ગયો હોત.