03 June, 2024 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નિયત સમય કરતાં પહેલાં CSMT સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૧૦ અને ૧૧નું એક્સપાન્શનનું કામ પૂરું થયું હતું. (તસવીર-આશિષ રાજે)
સેન્ટ્રલ રેલવેએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને થાણે ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટનું કામ ૩૬ અને ૬૩ કલાકના બ્લૉક લઈને હાથ ધર્યું હતું એ પૂરતા પ્લાનિંગ સાથે સમયસર પૂરુ કર્યું હતું. રવિવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની ડેડલાઇન હતી અને એટલે એ ડેડલાઇન સંભાળીને એણે એ કામ આટોપી લીધું હતું. જોકે હવે પ્લૅટફૉર્મ-નંબર ૧૨ અને ૧૩નું એક્સપાન્શન હાથ ધરાવાનું છે જેનું કામ આવતા અઠવાડિયાથી ચાલુ કરી દેવાશે. એ માટે મેગા બ્લૉક ક્યારે લેવો એ પાછળથી નક્કી કરવામાં આવશે. આ ત્રણ દિવસના બ્લૉક દરમ્યાન CSMTના પ્લૅટફૉર્મ-નંબર ૧૦ અને ૧૧નું એક્સપાન્શનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.
સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નિલ નીલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ગુરુવાર રાતથી બ્લૉક લઈને હાથ ધરેલું એક્સપાન્શનનું કામ સમયસર પૂરું કરી લીધું છે. હવે CSMT પર પ્લૅટફૉર્મ ૧૨ અને ૧૩નું એક્સપાન્શન કરવાનું છે. પ્લૅટફૉર્મ-નંબર ૧૨ અને ૧૩ને પણ ૨૪ ડબ્બાની ટ્રેન લાગી શકે એ માટે લંબાવવાનાં છે. એથી પ્લૅટફૉર્મ-નંબર ૧૨ અને ૧૩ પર જે ટ્રેનો લાગે છે એ હાલ ૧૦ અને ૧૧ પર અમે ડાઇવર્ટ કરીશું. ત્યાર બાદ પ્લૅટફૉર્મ-નંબર ૧૨ અને ૧૩ને લંબાવવામાં આવશે. જોકે આવતા અઠવાડિયાથી અમે પ્લૅટફૉર્મ-નંબર ૧૨ અને ૧૩ની આગળ જે સિગ્નલ અને અન્ય ટેક્નિકલ બાબત છે એ હટાવવાનું શરૂ કરીશું. એ બધું શિફ્ટ કર્યા બાદ અમે છેલ્લે પ્લૅટફૉર્મની લેન્ગ્થ વધારીશું. એ માટે મેગા બ્લૉક લેવો પડશે. જોકે એ કામ ક્યારે હાથ ધરવું અને એ માટે બ્લૉક ક્યારે લેવો એ પાછળથી નક્કી કરીશું.’
કેન્દ્ર સરકારે વિશેષ ફન્ડ ફાળવ્યું એટલે એક્સપાન્શન થયું
CSMTનાં પ્લૅટફૉર્મ-નંબર ૧૦, ૧૧, ૧૨ અને ૧૩ પર ૨૪ ડબ્બાની મેલ/એક્સપ્રેસ ટ્રેનો ઊભી રાખી શકાય એ માટે એને લંબાવવાનો પ્લાન તો છેલ્લાં ૧૦ વર્ષથી હતો, પણ ફન્ડના અભાવે એે કામ થઈ નહોતું રહ્યું. જોકે આ વર્ષે બજેટમાં CSMTથી પ્રવાસીઓની સંખ્યા વધી શકે એ માટે પ્લાન કરીને ‘વડા પ્રધાન ગતિશક્તિ’ યોજના હેઠળ ફન્ડ ફાળવવામાં આવતાં આ એક્સપાન્શન થઈ શક્યું હતું.
થેંક્યુ મુંબઈકર
લોકલ અને મેલ એક્સપ્રેસ એમ બંને પ્રવાસીઓને લાભ થાય એવા આ ભગીરથ કામન સેન્ટ્રલ રેલવે દ્વારા સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યા બાદ સેન્ટ્રલ રેલવે દ્વારા મુંબઈગરાઓનો પણ તેમણે અગવડ વેઠીને પણ સાથ આપ્યો હોવાથી તેમનો આભાર માન્યો હતો.