03 October, 2024 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીતિન ગડકરી
નાગપુર મહાનગરપાલિકાએ ગઈ કાલે રાખેલા સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સૂચન કર્યું હતું કે ‘જે લોકો પાનમસાલા ખાઈને રસ્તા પર થૂંકતા હોય છે તેમના ફોટો પાડીને લોકોને બતાવવા માટે એ ફોટો અખબારોમાં પ્રકાશિત કરવા જોઈએ. મહાત્મા ગાંધીએ પણ આ પ્રયોગ કર્યો હતો.’
ત્યાર બાદ નીતિન ગડકરીએ પોતે પણ ભૂતકાળમાં કારમાંથી ચૉકલેટનું રૅપર બહાર ફેંક્યું હોવાનું કબૂલ્યું હતું. જોકે તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં તેમને આ આદત હતી, પણ હવે જ્યારે તેઓ ચૉકલેટ ખાય છે ત્યારે એનું રૅપર ઘરે લઈ આવીને ડસ્ટબિનમાં નાખે છે.
ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ મિનિસ્ટરે કહ્યું હતું કે ‘આપણા લોકો બહુ જ સ્માર્ટ છે. ચૉકલેટ ખાઈને તરત જ રૅપર ફેંકી દેતા હોય છે. જોકે આ જ લોકો જ્યારે વિદેશમાં જાય છે ત્યારે ચૉકલેટ ખાઈને એનું રૅપર પોતાના ખિસ્સામાં મૂકી દેતા હોય છે. ત્યાં તેમનું વર્તન એકદમ અલગ અને સારું હોય છે.’