10 February, 2023 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માત્ર ૨૦ દિવસમાં નરેન્દ્ર મોદી બીજી વખત મુંબઈની મુલાકાતે
મુંબઈ : ૧૯ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં વિકાસલક્ષી અનેક કાર્યક્રમોની જાહેરાત કર્યા બાદ તેઓ આજે ફરી મુંબઈની મુલાકાતે આવી રહ્યા છે. આ વખતે તેઓ દાઉદી વહોરા સમાજ દ્વારા અંધેરીના મરોલમાં ઊભી કરવામાં આવેલી અરેબિયા યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવાની સાથે સીએસટીએમ ખાતે શિર્ડી-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી આપશે. વડા પ્રધાન તેમની આ મુલાકાત વખતે સાંતાક્રુઝ ચેમ્બુર લિન્ક રોડના એક્સટેન્શન બ્રિજ અને મલાડના કુરાર ખાતેના અન્ડરપાસનું લોકાર્પણ પણ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાતે આવી રહ્યા છે. બપોરે તેઓ ઍરપોર્ટ પહોંચશે અને ત્યાંથી સીએસટીએમ રેલવે સ્ટેશન પહોંચશે. ત્યાંના પ્લૅટફૉર્મ નંબર-૧૮ પરથી બપોરે ૨.૪૫ વાગ્યે તેઓ સીએસએમટી-સોલાપુર અને સીએસએમટી-સાંઈનગર શિર્ડી એમ બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવશે. ત્યાંથી જ તેઓ વર્ચ્યુઅલી સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ અને કુરાર અન્ડરપાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
સીએસટીએમટી ખાતેનો કાર્યક્રમ પૂરો થયા બાદ વડા પ્રધાન મરોલ રવાના થશે અને ત્યાં તેઓ ૪.૩૦ વાગ્યે દાઉદી વહોરા સમાજ દ્વારા નિર્માણ કરવામાં આવેલી સૈફી ઍકૅડેમી પહોંચશે અને દાઉદી વહોરા સમાજના ધર્મગુરુઓ સાથે અલજમિયા-તુસ-સફિયા અરેબિક યુનિવર્સિટીનું લોકાર્પણ કરશે.
વડા પ્રધાનની આજની મુલાકાતને પગલે બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી કોલાબા, રીગલ જંક્શન અને પી. ડિમેલો રોડથી લઈને સીએસએમટી સુધી ટ્રાફિક-વ્યવહારને અસર પહોંચશે. આવી જ રીતે બપોર બાદ ૪થી ૬ વાગ્યા દરમ્યાન મુંબઈના ડોમેસ્ટિક ઍરપોર્ટથી મરોલ સુધીના રસ્તાને ડાઇવર્ટ કરાયા છે એટલે અહીં પણ ટ્રાફિકની મુશ્કેલી સર્જાશે, આથી મુંબઈગરાઓએ આ બાબતને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં જવું.
વડા પ્રધાનની મુલાકાત આવી હશે