31 August, 2024 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે જિયો કન્વેન્શન સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટને સંબોધન કરતા નરેન્દ્ર મોદી.
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના જિયો કન્વેન્શન સેન્ટરમાં ચાલી રહેલા પાંચમા ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમણે એ વખતે કહ્યું હતું કે ફિનટેકના વિકાસ સાથે બૅન્કિંગ પણ વધારે મજબૂત થયું છે. તેમણે વડા પ્રધાન જન ધન યોજનાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે ‘આ યોજનાનો હેતુ જ એ હતો કે વધુ ને વધુ ભારતીયોને બૅન્કિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવે. આ સ્કીમને કારણે દેશની ૧૦ કરોડ ગ્રામીણ મહિલાઓ જે સેલ્ફ-હેલ્પ ગ્રુપની મેમ્બર છે તે બધી જ બૅન્કિંગ સાથે જોડાઈ ગઈ છે અને તેઓ પણ હવે વિકાસનાં ફળ ચાખી રહી છે. આમ આ સ્કીમ મહિલા સશક્તીકરણને બઢાવો આપી રહી છે.’
નરેન્દ્ર મોદીએ આમંત્રિતોને સંબોધતાં એમ પણ કહ્યું હતું કે ‘આ પાંચમો ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ છે. તમારા દસમા ફેસ્ટિવલમાં પણ હું જ આવીશ.’ આમ તેમણે પાંચ વર્ષ પછી પણ તેઓ જ વડા પ્રધાન હશે એમ સાનમાં સમજાવી દીધું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘સંસદમાં એવા સવાલો કરતા હતા કે દેશના ગ્રામીણ વિસ્તારોનાં ગામોમાં બૅન્કો નથી, પૂરતી બ્રાન્ચ નથી, ઇન્ટરનેટ નથી; કઈ રીતે તમે ફિનટેક રેવલ્યુશન લાવશો? જોકે છેલ્લાં ૧૦ વર્ષમાં બ્રૉડબૅન્ડ યુઝર્સ ૬૦ મિલ્યનથી વધીને ૯૪૦ મિલ્યન પર પહોંચી ગયા છે. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એ ફિનટેક સક્સેસનું સૌથી મોટું ઉદાહરણ છે. ફિનટેકમાં જે ટ્રાન્સફૉર્મેશન થયું એ માત્ર ટેક્નૉલૉજીમાં જ થયું છે એવું નથી. એની સોશ્યલ ઇમ્પૅક્ટ છેવાડાના લોકો સુધી પહોંચી રહી છે. ફિનટેકને કારણે અત્યાર સુધી જે નાના લોકો બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ સર્વિસના લાભોથી વંચિત હતા એ બધા એનાથી જોડાઈ રહ્યા છે. ભારતની ઇકો ફિનટેક સિસ્ટમને કારણે આખા વિશ્વનું જીવનસ્તર સુધરશે અને હજી આપણું બેસ્ટ તો આવવાનું બાકી છે.’