02 November, 2023 08:00 AM IST | Mumbai | Diwakar Sharma
નાલાસોપારાના આ ઘરમાંથી યુવતીની ડેડ-બૉડી મળી હતી (તસવીર : હનીફ પટેલ)
નાલાસોપારા-ઈસ્ટમાં ભાડાના એક મકાનમાંથી ૩૦ વર્ષની મહિલાનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર મહિલાનો લિવ-ઇન પાર્ટનર અમોલ દાભોળકર શંકાના દાયરામાં છે કે તેણે જ મહિલાનું ગળું ચીરીને તેના ડાબો પગ પણ કાપ્યો હતો. પોલીસે આરોપી ભાગી જતાં તેની ધરપકડ માટે ટીમ તહેનાત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર દાભોળકરે મહિલાને લાલચ આપી હતી કે તે તેની પત્નીને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરશે. બાદમાં મહિલાએ દાભોળકરના પુત્રને જન્મ પણ આપ્યો હતો. સિનિયર પોલીસ અધિકારીએ કહ્યું કે ‘દેખીતી રીતે હત્યારો મહિલાના ટુકડેટુકડા કરવા ઇચ્છતો હતો, પણ તેનામાં હિંમતનો અભાવ અથવા તો તે ગભરાઈ ગયો હતો. આ તમામ હકીકત તેની ધરપકડ અને પૂછપરછ કર્યા બાદ જ માલૂમ પડશે.’
અન્ય એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મહિલાની હત્યા બાદ હત્યારાએ તેના મૃતદેહના ટુકડા કરવાની કોશિશ કરી છે, કારણ કે તેના મૃતદેહમાં મલ્ટિપલ ફ્રૅક્ચર મળી આવ્યાં છે. મહિલાની બહેને માહિતી આપી હતી કે તુલિંજ પોલીસે દાભોળકર વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૦૨ હેઠળ એફઆરઆઇ દાખલ કર્યો છે.
તુલિંજના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર નરેન્દ્ર નાગરકરે ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘આરોપીની ધરપકડ કરવા માટે ૩ ટીમ તહેનાત કરવામાં આવી હતી. હાલ તપાસ ચાલી રહી છે. આરોપી ફરાર છે, પણ અમે આરોપીને ઝડપી લઈશું.’
મીરા-ભાઈંદર વસઈ-વિરાર ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમની રચના કરી પોલીસે આરોપીને પકડી પાડવા સમાન તપાસ હાથ ધરી છે. આ કેસની માહિતી રાખતા એક અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘મરનાર મહિલા ચિપલૂણની રહેવાસી હતી અને તેના પતિથી અલગ થઈ ગઈ હતી. જાણવા મળ્યું છે કે મહિલાને ચિપલૂણમાં જ દાભોળકર સાથે સંબંધ બંધાયો હતો, જે પહેલાંથી જ પરિણીત હતો.’
પોલીસના જણાવ્યા મુજબ દાભોળકરે મહિલાને લાલચ આપી હતી કે તેની પત્નીને છૂટાછેડા આપી તેની સાથે લગ્ન કરશે. દરમ્યાન મહિલાએ દાભોળકરના પુત્રને જન્મ પણ આપ્યો હતો. દાભોળકર તેના બાળકની સંભાળ રાખવાનો હતો, પણ મહિલા સાથે લગ્ન કરવા તેની પત્નીને છૂટાછેડા ન આપતાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ દાભોળકરે સંબંધ તોડી નાખીને પુત્ર પણ છીનવી લીધો હતો. મહિલા ૨૦૨૩માં મુંબઈ રહેવા આવી હતી. પોલીસે કહ્યું કે મહિલા લોઅર પરેલમાં હાઉસકીપિંગ સ્ટાફ તરીકે કામ કરતી હતી અને નાલાસોપારાની એક ચાલમાં રહેતી હતી. મહિલાની બહેને ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે દાભોળકર તેની પાછળ-પાછળ નાલાસોપારા આવી ગયો હતો અને બાદમાં તેઓ બધું ભુલાવીને ફરી લિવ-ઇનમાં રહેવા માંડ્યાં હતાં.