ભાષણને કારણે ચર્ચામાં રહેતા BJP એમએલએ ટી રાજા સિંહની રેલી મીરા રોડમાં યોજાશે નહિ

22 February, 2024 07:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

T Raja Singh Rally: મીરા રોડ ખાતે ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહની રેલી યોજાશે નહીં. મીરા ભાયંદર વસઈ-વિરાર પોલીસે તેલંગાણા ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને ધારાસભ્યની રેલીને પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે.

પ્રતીકાત્મક તસવીર

T Raja Singh Rally:  ગત મહિને 21 જાન્યુઆરીએ થયેલી હિંસાને કારણે દેશભરમાં ચર્ચામાં રહેલ મીરા રોડ ખાતે ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહની રેલી યોજાશે નહીં. મીરા ભાયંદર વસઈ-વિરાર પોલીસે તેલંગાણા ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને ધારાસભ્યની રેલીને પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. ટી રાજા સિંહે અગાઉ 19 ફેબ્રુઆરીએ છત્રપતિ શિવાજીની જન્મજયંતિના અવસરે મીરા રોડની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં ટી રાજા સિંહે આ પ્રવાસ રદ કર્યો હતો. તેની પાછળનું કારણ પીએમ મોદીની પ્રસ્તાવિત મુલાકાત હતી. આ પછી ટી રાજા સિંહે 25 ફેબ્રુઆરીએ રેલી (T Raja Singh Rally)ની જાહેરાત કરી હતી. સૂત્રોને ટાંકીને આ માહિતી બહાર આવી છે. તેમના કહેવા પ્રમાણે, પોલીસે રાજા સિંહની રેલીની પરવાનગી નકારી દીધી છે, જોકે રાજા સિંહે કહ્યું છે કે તેઓ મીરા રોડ આવશે. તેણે કહ્યું છે કે ગમે તે થાય, તે 25 ફેબ્રુઆરીએ મીરા રોડ પર આવશે, પરંતુ પોલીસે મંજૂરી ન આપવાને કારણે રેલી યોજવાની શક્યતા ખતમ થઈ ગઈ છે.

ટી રાજા સિંહ AIMIMના ગઢ ગણાતી હૈદરાબાદની ગોશામહલ બેઠક પરથી ત્રીજી વખત ચૂંટાયા છે. તે પોતાના ભાષણોને કારણે સમાચારમાં રહે છે. થોડા વર્ષો પહેલા જ્યારે ફેસબુકે નફરતભર્યા ભાષણને કારણે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે રાજા સિંહે કહ્યું હતું કે તેનું ફેસબુક પર કોઈ એકાઉન્ટ નથી. તાજેતરમાં જ્યારે ટી રાજા સિંહ મહારાષ્ટ્રના સોલાપુર આવ્યા હતા ત્યારે ત્યાં તણાવ હતો. 15 ફેબ્રુઆરી પછી ટી રાજા સિંહે મીરા રોડની મુલાકાતની જાહેરાત કરી હતી. તાજેતરમાં જ પોલીસે એઆઈએમઆઈએમના પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણને પણ મીરા રોડ જવા દીધા ન હતા. જ્યારે તે દહિસરથી ગયા ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી અને લાંબા સમય બાદ તેને છોડી મૂક્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ટી રાજા સિંહની રેલી માટે અરજી મળી હતી. પોલીસે પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો છે. પોલીસે ભડકાઉ ભાષણની શક્યતાને ધ્યાનમાં રાખીને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે.

એક મહિના પહેલા મીરા રોડ પર રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક પહેલા હિંસા થઈ હતી. આ પછી અહીં ગેરકાયદે બાંધકામો સામે પણ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે. પોલીસે હજુ સુધી ટી રાજા સિંહની રેલીને મંજૂરી આપી નથી. જો ટી રાજા સિંહની રેલી યોજાય તો AIMIM નેતાઓ મીરા રોડ જવાનો આગ્રહ પણ રાખી શકે છે. AIMIM પહેલાથી જ મુંબઈ બેઠકો પર ચૂંટણી લડવાની સંભાવના પર કામ કરી રહી છે. 

mira road mumbai maharashtra news mumbai news gujarati mid-day