BJP MLA Firing : BJPના ધારાસભ્ય ભૂલ્યા ભાન, પોલીસ સ્ટેશનમાં શિવસેના નેતાને ગોળી મારી

03 February, 2024 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BJP MLA Firing: પોલીસે આ કેસમાં ભાજપના ધારાસભ્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. બંને પક્ષો વચ્ચે જમીન બાબતે ઝઘડો થયો હતો, જેના કારણે આ ઘટના બની હતી.

શિવસેના નેતા મહેશ ગાયકવાડ

BJP MLA Firing: મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેની પાર્ટીના નેતા પર ભાજપના ધારાસભ્ય દ્વારા ગોળી મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ફાયરિંગની આ ઘટના પોલીસ સ્ટેશનમાં બની હતી. પોલીસે આ કેસમાં ભાજપના ધારાસભ્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. બંને પક્ષો વચ્ચે જમીન બાબતે ઝઘડો થયો હતો, જેના કારણે આ ઘટના બની હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

મામલો શું છે

એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના નેતા મહેશ ગાયકવાડ અને કલ્યાણ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી જમીન વિવાદ ચાલી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભાજપના ધારાસભ્ય અને શિવસેના નેતા વચ્ચે કલ્યાણ પૂર્વના દ્વારલી સંકુલમાં હાજર મિલકત પર માલિકી હક્કને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં 31 જાન્યુઆરીએ પણ બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. જે બાદ શુક્રવારે સાંજે બંને પક્ષો ઉલ્હાસનગરના હિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. બંને પક્ષો વચ્ચે વિવાદ વધી ગયો અને પોલીસ સ્ટેશનમાં તંગદિલી શરૂ થઈ. આરોપ છે કે આ પછી ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડ અને તેના સહયોગીઓ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે એક બાજુથી ગોળીબાર થયો હતો, જેમાં બે લોકો ઘાયલ થયા હતા. ઘટના દરમિયાન છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે ફાયરિંગના આરોપી ભાજપના ધારાસભ્યની અટકાયત કરી હતી, પરંતુ શનિવારે સવારે ભાજપના ધારાસભ્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શિવસેનાના નેતાને બે ગોળી વાગી હતી, જ્યારે તેમના સાથીને પણ બે ગોળી વાગી હતી. શિવસેનાના નેતાની હાલત નાજુક છે. ભાજપના ધારાસભ્યનો આરોપ છે કે મહેશ ગાયકવાડ અને તેમના સમર્થકોએ તેમના પુત્ર સાથે ગેરવર્તણૂક કરી હતી, જેના કારણે તેણે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. હાલ પોલીસ ઘટનાની તપાસમાં વ્યસ્ત છે. ગણપત ગાયકવાડ કલ્યાણ પૂર્વ બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય છે. તેઓ આ બેઠક પરથી બે વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી ચૂક્યા છે.

સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે

ઉલ્હાસનગરના પોલીસ સ્ટેશનમાં ફાયરિંગની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ તપાસના આદેશ આપ્યા છે.

shiv sena maharashtra news mumbai news bharatiya janata party eknath shinde