મલબાર હિલમાં ૧૫૦ વર્ષ જૂનું આંબાનું વૃક્ષ તૂટી પડ્યું

25 June, 2023 09:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મલબાર હિલ-વાલકેશ્વરની ગીતાંજલિ સોસાયટીમાં ગઈ કાલે સવારે એક ૧૫૦ વર્ષ જૂનું આંબાનું વૃક્ષ તૂટી પડ્યું હતું જેને કારણે દસ કારને નુકસાન થયું હતું

મલબાર હિલમાં તૂટી પડેલું ૧૫૦ વર્ષ જૂનું ઝાડ. તસવીર: શાદાબ ખાન

મલબાર હિલ-વાલકેશ્વરની ગીતાંજલિ સોસાયટીમાં ગઈ કાલે સવારે એક ૧૫૦ વર્ષ જૂનું આંબાનું વૃક્ષ તૂટી પડ્યું હતું જેને કારણે દસ કારને નુકસાન થયું હતું. આ ઘટના વિશે સોસાયટીના સેક્રેટરી રાજેશ બરફીવાલાએ કહ્યું હતું કે ‘બીએમસી દ્વારા તેમની મૉન્સૂન પહેલાંની કાર્યવાહી દરમ્યાન વૃક્ષો ટ્રિમ કર્યાં જ હતાં, પણ આ વૃક્ષ એનાં મૂળમાંથી ઊખડી ગયું છે જેથી કોઈને દોષ ન દઈ શકાય. સોસાયટીમાં અન્ય વૃક્ષો પણ છે જ, પણ પહેલી વાર આ રીતે વૃક્ષ તૂટી પડવાની દુર્ઘટના બની છે. લૉકડાઉન વખતે એક વૃક્ષની ડાળી તૂટી હતી, પણ એ સિવાય બીજી કોઈ દુર્ઘટના થઈ નથી. આ ઘટનાને કારણે સોસાયટીની બાઉન્ડરી વૉલને પણ નુકસાન થયું હતું. અંદાજે ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું છે. એ સિવાય દસ લક્ઝરી કારને પણ નુકસાન પહોંચ્યું છે.’

મુંબઈના જાણીતા પર્યાવરણવિદ્ ડેબી ગોએન્કાએ કહ્યું હતું કે ‘સામાન્યપણે વૃક્ષોમાં કીડા લાગતાં એ નબળાં પડીને તૂટી જતાં હોય છે. જોકે દોઢસો વર્ષ જૂના આ વૃક્ષને પણ કીડા લાગ્યા એ અચરજભર્યું છે. બીજું, વૃક્ષની આસપાસ ખોદકામ કર્યું હોય તો એને કારણે અને જો વૃક્ષ વર્ષો જૂનું હોય તો પણ નબળું પડી શકે છે.’

- ઈશાન કલ્યાણીકર / શાદાબ ખાન

mumbai monsoon mumbai rains mumbai mumbai news