વિનાશ વિનાનો વિકાસ

14 June, 2023 08:47 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કાંદિવલી (ઈસ્ટ)માં ૧૨૦ ફુટનો રોડ બનાવવા માટે ૩૧૪ ઝૂંપડાંઓ હટાવવા પડે એમ હતાં, પણ દેવેન્દ્ર ફડણવીસે બીએમસીના અધિકારીઓને સ્લમને હટાવવાને બદલે ત્યાંથી ફ્લાયઓવર બનાવીને ઉકેલ નીકળે છે કે નહીં એ ચકાસવા કહ્યું

જે જગ્યાએ એલિવેટેડ રોડ બનવાનો છે એ સિંહ એસ્ટેટ

કાંદિવલી (ઈસ્ટ)માં ૧૨૦ ફુટનો રોડ બનાવવા માટે ૩૧૪ ઝૂંપડાંઓ હટાવવા પડે એમ હતાં, પણ  દેવેન્દ્ર ફડણવીસે બીએમસીના અધિકારીઓને સ્લમને હટાવવાને બદલે ત્યાંથી ફ્લાયઓવર બનાવીને ઉકેલ નીકળે છે કે નહીં એ ચકાસવા કહ્યું : આમ કરવાથી પિલર બનાવવા પડે એટલા ઝૂંપડાવાસીઓનું જ પુનવર્સન કરવું પડે

કાંદિવલી (ઈસ્ટ)માં ગોકુલ વિલેજમાં શ્યામનારાયણ ઠાકુર રોડ પર ઍડિશનલ પોલીસ કમિશનરની ઑફિસ પાસેના ચોકથી લઈને મહિન્દ્ર કંપની અને ત્યાંથી આકુર્લી રોડને જૉઇન કરતા રોડને ૧૨૦ ફુટનો બનાવવાનો હતો, પણ એને પહોળો કરવામાં વચ્ચે આવતાં સિંહ એસ્ટેટનાં ૩૧૪ ઘર તોડવાં પડે એમ હતાં. એ માત્ર ૩૦૦ મીટર લાંબો રોડ જો પહોળો કરાય તો એ વાહનવ્યવહાર અને રાહદારીઓ માટે એ ઉપયોગી થઈ પડશે. જોકે છેલ્લાં આઠ વર્ષથી સિંહ એસ્ટેટના રહેવાસીઓને તેમનાં ઘર કપાઈ જાય એ મંજૂર ન હોવાથી લડત ચલાવી રહ્યા હતા અને બીએમસીમાં તથા પ્રશાસનમાં રજૂઆત કરી રહ્યા હતા. આખરે એમએલએ પ્રકાશ સુર્વેએ તેમના આ પ્રશ્નને હાથમાં લીધો એટલે હવે ૩૧૪ ઝૂંપડાં અને ઘર તોડવાને બદલે જો ત્યાં એલિવેટેડ રોડ તૈયાર કરવામાં આવે તો રોડ પહોળો થઈ જાય અને ૩૧૪ ઝૂંપડાં તોડવાં ન પડે. અફકોર્સ થોડાં ઘણાં ઘર પિલર બનાવવા માટે તોડવાં પડે, પણ એ માટે વળતર આપી શકાય અથવા તેમને બીજે વિસ્થાપિત કરી શકાય.

પ્રકાશ સુર્વેએ આ સંદર્ભે સહ્યાદ્રિન અતિથિગૃહમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, બીએમસીના ઍડિશનલ કમિશનર પી. વેલારાસુ, ઍડિશનલ કમિશનર અશ્વિની ભિડે અને અન્ય અધિકારીઓની બેઠકમાં આ બાબતે રજૂઆત કરતાં ત્યાં એલિવેટડ રોડ બનાવવાનો નિર્ણય લેવાયો છે અને હવે એ મુજબ ત્યાંનો રોડ બનશે.

પ્રકાશ સુર્વેએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રોડ પહોળો કરવા સિંહ એસ્ટેટનાં ઘર તોડવાં પડે એમ હતાં અને એ જરૂરી પણ હતું. જોકે ૩૦૦ ફુટનો એ રોડ પહોળો કરવા માટે ૩૧૪ ઝૂંપડાં તોડવાં પડ્યાં હોત અને આટલી મોટી સંખ્યામાં તેમનાં પુનર્વસન કરાવવાં પડ્યાં હોત. પુનર્વસન માટે આટલી મોટી સંખ્યામાં બીએમસી પાસે જગ્યા જ ઉપલબ્ધ નથી. જો વિસ્થાપિતોને જગ્યા ન આપી શકાય તો તેમને રોકડા રૂપિયા ચૂકવવા પડે અને એ માટે ઓછામાં ઓછા ૧૫૦થી ૨૦૦ કરોડ રૂપિયા ખર્ચવા પડે એટલે રહેવાસીઓ સાથે મળીને વચલો માર્ગ કાઢ્યો અને રોડ પહોળો કરવાને બદલે ત્યાં એલિવેટેડ રોડ બનાવવાનું નક્કી થયું. એ એલિવેટેડ રોડના પિલર માટે કેટલાંક ઘર તોડવાં પડશે, પણ બાકીનાં બચી જશે. જો આ વિકલ્પ કે ઉપાય સક્સેસફુલ રહેશે તો આવું મુંબઈમાં પહેલી વાર બનશે અને એ પછી જ્યાં પણ આ રીતે પૉસિબલ હશે ત્યાં એને અનુસરવામાં આવશે. આ નિર્ણય મુંબઈની ગીચતા જોતાં ખરેખર માઇલસ્ટોન બની શકે એમ છે. ડેપ્યુટી સીએમ અને ઉચ્ચ અધિકારીઓએ આ એલિવેટેડ રોડ માટે સંમતિ આપી દીધી છે. હવે ટૂંક સમયમા એ બાબતે ડેવલપમેન્ટ ઍન્ડ પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને જાણ કરીને જરૂરી ફેરફાર કરવાનું કહેવામાં આવશે.’  

આ બાબતે બીએમસીના ઍડિશનલ કમિશનર પી. વેલારાસુએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘ડેપ્યુટી સીએમે અમને સૂચન કરતાં કહ્યું કે બહુ બધા ઝૂંપડાવાસીઓને અસર ન પહોંચે એ રીતનો જો એલિવેટેડ રોડ બની શકતો હોય તો એ રીતે કન્સિડર કરો. અમે એ સૂચન ટેક્નિકલી ચકાસીશું અને પછી આગળ વધીશું.’ 

kandivli brihanmumbai municipal corporation mumbai mumbai news bakulesh trivedi