Mumbai Ganeshotsav 2024: અનોખી મેડિસિન સિટી ઊભી થઈ છે અંધેરીમાં

14 September, 2024 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમાં વપરાયેલી બધી દવા જશે વૃદ્ધાશ્રમમાં

મેડિસિન સિટી

અંધેરી રહેતા ૪૦ વર્ષનાં શિવાની મજમુદારના ઘરે છેલ્લાં ૧૦ વર્ષથી ઇકો-ફ્રેન્ડ્લી ગણપતિની સ્થાપના થાય છે. એમાંય છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી તેમણે ડોનેશન થીમ અપનાવી છે. મતલબ કે એવી ચીજોનું ડેકોરેશન કરવાનું જે ક્યાંક દાનમાં આપીએ તો એ બીજા લોકોને ખપમાં આવે.

આ વખતે તેમણે મેડિસિન સિટી બનાવી છે અને આ વિચાર કઈ રીતે આવ્યો એની વાત કરતાં શિવાનીબહેન કહે છે, ‘ગયા વર્ષે મેં સ્ટેશનરીની થીમ રાખેલી, એ પહેલાં ફૂડ પ્રોડક્ટ્સ રાખેલી. આ વખતે હું કેટલાક વૃદ્ધાશ્રમમાં ગયેલી અને ત્યાં તેમને કેવી-કેવી મેડિસિન્સની જરૂર છે એનો સર્વે કરેલો. મેં આવી જ રોજિંદા વપરાશમાં વડીલોને જરૂર પડતી હોય એવી દવાનો ઉપયોગ કરીને મેડિકલ સિટી તૈયાર કર્યું હતું. જેનરિક દવાઓ અને સર્જિકલ આઇટમ્સ એમાં વાપરી હતી. પેઇન રિલીફ બામનો ટાવર બનાવ્યો, કૅન્ડિડ પાઉડર, ઍન્ટિસેપ્ટિક દવાઓ અને પેઇન રિલીફ સ્પ્રેની બૉટલોથી પિલર્સ તૈયાર કર્યા હતા. બ્રિજ અને મેટ્રો સ્ટેશન માટે દવાઓની આખી સ્ટ્રિપ, ક્રૅપ બૅન્ડેજ, બૅન્ડએઇડ્સ વાપર્યાં હતાં. વિક્સ ઇન્હેલર, કંઠિલ જેવી દવાઓથી ટ્રી જેવો લુક તૈયાર કર્યો હતો. મેં એવી જ ચીજોનો ઉપયોગ કરેલો જે વડીલોના આશ્રમની જરૂરિયાત હોય. વળી, એ ચીજો બગડે નહીં એ માટે એ તમામ ચીજો રૅપર સાથે યુઝ કરી હતી. લગભગ ૩૦૦ કૉટનનાં પૅકેટમાંથી મેં ગણેશજીની ચાર ફુટની મૂર્તિ બનાવી હતી. અલબત્ત, આ સાથે દગડૂશેઠનું શાડૂ માટીનું આઇડલ પણ બિરાજમાન થયું હતું.’

દગડૂશેઠની મૂર્તિનું વિસર્જન અમે સોસાયટીમાં ટબમાં જ કર્યું હતું અને ડેકોરેશનમાં વપરાયેલી તમામ ચીજો વૃદ્ધાશ્રમમાં આપવામાં આવી છે. 

ganpati ganesh chaturthi andheri mumbai mumbai news