ગણેશ ચતુર્થી ૨૦૨૪: યે હૈ મુંબઈ મેરી જાન

12 September, 2024 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરેલના શૉર્ટ ફિલ્મમેકર પરાગ સાવંતે વિવિધ કામગારોથી જ મુંબઈ બન્યું છે એનું નિરૂપણ કરતો મિનિએચર પંડાલ પોતાના ઘરમાં જ તૈયાર કર્યો છે. છ બાય ચાર ફુટના એરિયામાં મેટ્રો અને વરલી સી-લિન્કવાળા મૉડર્ન મુંબઈની સાથે ઐતિહાસિક મુંબઈ પણ દેખાય છે

તસવીરો : આશિષ રાજે

મુંબઈના પરેલમાં રહેતા શૉર્ટ ફિલ્મમેકર પરાગ સાવંતનું ગણપતિ ડેકોરેશન છેલ્લાં ૧૩ વર્ષથી ચર્ચામાં રહ્યું છે. મુંબઈનાં જુદાં-જુદાં પાસાંઓને અદ્ભુત રીતે દર્શાવવામાં પરાગ મોખરે આવે એમ કહેવું જરાય ખોટું નથી. બાપ્પાના ડેકોરેશન વિશે વાત કરતાં પરાગ ‘મિડ-ડે’ને કહે છે, ‘આ વર્ષે અમારા ગણેશની થીમ છે ‘મેહનત કા ફલ’. મુંબઈમાં રહેવું હોય તો દિવસ-રાત મહેનત કરવી જ પડે.

આ થીમને લઈને મેં મુંબઈના કામગારોના જીવન પર પ્રકાશ પાડવાની કોશિશ કરી છે. કન્સ્ટ્રક્શન-સાઇટ પર કામ કરતા મજૂરો, માછીમારો, ડબ્બાવાલા, કૂલી, સફાઈ-કર્મચારી, ધોબીઘાટના વર્કર્સ અને અખબાર વેચતા ફેરિયાઓ મુંબઈનો અભિન્ન હિસ્સો છે. તેમણે મુંબઈના વિવિધ એરિયાની મિનિએચર ડિઝાઇન તૈયાર કરી છે. જેમ કે માછીમાર છે ત્યાં નાનું કોલીવાડા, મેટ્રોનું કન્સ્ટ્રક્શન, મુંબઈની જૂની ચાલી સિસ્ટમ, ડબ્બાવાળાની સર્વિસ, દાદરનું ફૂલમાર્કેટ દેખાડ્યું છે. ગટર સાફ કરનાર કર્મચારી મૅનહોલમાંથી બહાર આવતો દેખાય એવાં દૃશ્યો પણ બહુ બારીકાઈથી તૈયાર કર્યાં છે.

બાપ્પાના હાથમાં મોદકને બદલે દાડમ રાખવામાં આવ્યું છે. દાડમ ગ્રોથ અને ફર્ટિલિટીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી દરેક કર્મચારીની ઉપર દાડમ લટકાવવામાં આવ્યું છે જે એમ દર્શાવે છે કે તમે જેટલી મહેનત કરશો એટલું ફળ મળશે, પણ મળશે જરૂર. આખું ડેકોરેશન બનાવવામાં અમને ૨૦ દિવસનો સમય લાગ્યો છે. મોટા ભાગનું ડેકોરેશન રીસાઇકલ મટીરિયલથી જ બનાવ્યું છે. જે શિલ્પો દેખાય છે એ બધાં મેં માટીથી જ બનાવ્યાં છે. આ આખો સેટ-અપ છ ફુટ બાય ચાર ફુટના એરિયામાં બનાવ્યો છે. પહેલાંની મુંબઈમાં ચાલી સિસ્ટમમાં ઘર હતાં એવા ઘરની અંદર આ ડેકોરેશન કરવામાં આવ્યું છે. ઘરની દીવાલ પર પણ મારે ઘર લેવું છે, કાર લેવી છે એવાં સપનાં લખ્યાં છે. આજની તારીખમાં મુંબઈમાં ઘર હોવું મોટી વાત કહેવાય ત્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં શ્રમિકો માટે પોતાનું ઘર હોય એ સપનું હોય છે. મેં વરલી સી-લિન્ક જેવા મૉડર્ન મુંબઈની સાથે મુંબઈના ઇતિહાસને પણ દર્શાવવાની કોશિશ કરી છે જેથી લોકો ડબ્બાવાલા અને કોળી સમાજને ભૂલી ન જાય. હું દર વર્ષે મુંબઈની થીમ પર જ ડેકોરેશન કરવાનું પસંદ કરું છું. અમે ટૉપિક એ રીતે પસંદ કરીએ છીએ કે એનાથી બન્ને પેઢી રિલેટ કરી શકે.’

ganpati ganesh chaturthi parel mumbai mumbai news