22 October, 2024 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કર્નાક બ્રિજ
તળ મુંબઈના અને પોર્ટ સાથે સંકળાયેલા ઇમ્પોર્ટ-એક્સ્પોર્ટના વેપારીઓ માટે માલસામાનની હેરાફેરી માટે મહત્ત્વના એવા મસ્જિદ સ્ટેશનથી આગળ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) વચ્ચે આવેલા રોડ ઓવર કર્નાક બ્રિજનું પહેલું ગર્ડર સફળતાપૂર્વક મૂકી એને હવે વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવતાં બીજું ગર્ડર ગોઠવવાનો માર્ગ મોકળો થયો છે. આ ગર્ડર બેસાડવા માટે શનિવારે અને રવિવારે મધરાત બાદ ૦૦.૩૦થી ૩.૩૦ વાગ્યા દરમ્યાન વીજપુરવઠો ખંડિત કરવામાં આવ્યો હતો.
બ્રિજ જોખમી જણાતાં એ તોડી પાડી નવો બ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયા પછી હવે મહત્ત્વના તબક્કા પર એનું કામ પહોંચ્યું છે. ૫૫૦ ટનનું આ ગર્ડર ઉપર મૂક્યા પછી એને વ્યવસ્થિત ગોઠવવાનું હતું અને એ કામ હવે પૂરુ થયું છે. ૭૦ મીટર લાંબા અને ૯.૫ મીટર પહોળા આ ગર્ડરનું વજન ૫૫૦ ટન છે. હવે ડિસેમ્બર મહિનામાં એનું બીજું ગર્ડર બેસાડવાનો પ્લાન તૈયાર કરાઈ રહ્યો છે.