Mumbai : “હું દાઉદ ઈબ્રાહિમનો માણસ છું” કહી PM મોદી અને CM યોગીને બૉમ્બથી ઉડાડવાની મળી ધમકી

21 November, 2023 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai: બૉમ્બે પોલીસ કંટ્રોલ રૂમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો કોલ મળ્યો હતો.

CM યોગી આદિત્યનાથ અને PM નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

Mumbai : બૉમ્બે પોલીસ કંટ્રોલ રૂમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો કોલ મળ્યો હતો. ફોન કરનારે દાઉદ ઈબ્રાહિમનો માણસ હોવાનો દાવો કર્યો હતો. જેના કારણે પોલીસ દળમાં ખળભળાટ મચી ગયો હતો. આખરે પોલીસે તપાસ શરૂ કરી આરોપીની ધરપકડ કરી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ (Mumbai) પોલીસના કંટ્રોલ રૂમને સતત ધમકીભર્યા કોલ અને ઈ-મેઈલ આવી રહ્યા છે. સોમવારે રાત્રે ફરી એક અજાણ્યા વ્યક્તિએ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. આરોપીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

જેજે હોસ્પિટલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી

ફોન કરનારે એમ પણ કહ્યું હતું કે જો તેની તબીબી સારવાર નહીં આપવામાં આવે તો તે જેજે હોસ્પિટલ (JJ Hospital)માં પણ બોમ્બ લગાવી દેશે. આ પછી પોલીસ એલર્ટ મોડમાં આવી અને ફોન કરનારને ટ્રેસ કર્યો. આરોપી ફોન કરનારે કહ્યું હતું કે હું કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમનો માણસ છું. જેથી પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી હતી.

પોલીસે તાત્કાલિક તપાસ કરીને આરોપીને શોધી કાઢ્યો હતો. આ પછી ચુનાભટ્ટી વિસ્તારમાંથી 29 વર્ષીય શંકાસ્પદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીનું નામ કામરાન ખાન છે અને તેણે આ ધમકી કયા હેતુથી આપી હતી? આઝાદ મેદાન પોલીસ તેની તપાસ કરી રહી છે. મુંબઈ (Mumbai)ની આઝાદ મેદાન પોલીસે આઈપીસીની કલમ 505(2) હેઠળ યુવક વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

તાજેતરમાં જ પોલીસે ડોન છોટા શકીલના નજીકના મિત્ર વિરુદ્ધ FIR નોંધી હતી

તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા હતા કે મુંબઈ (Mumbai) પોલીસે અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના નજીકના ગુનેગાર રિયાઝ ભાટી સામે જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ FIR નોંધી છે. આ મામલામાં ફરિયાદીએ પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું કે રિયાઝ ભાટી વિરુદ્ધ વર્ષ 2021માં મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ખંડણીની એફઆઈઆર નોંધવામાં આવી હતી. તે કેસમાં ફરિયાદી (નવા કેસમાં) સાક્ષી છે.

ફરિયાદીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે રિયાઝ ભાટી અને તેના નજીકના સાથીઓએ તેને જૂન 2022થી 4 નવેમ્બર, 2023 સુધી ધમકી આપી હતી અને કહ્યું હતું કે કોર્ટમાં જુબાની આપવા માટે ન જાવ અને જો તે જાય તો તેણે રિયાઝ ભાટીની તરફેણમાં જુબાની આપવી જોઈએ. જો તેમ નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ મામલામાં એક અધિકારીએ કહ્યું કે આ મામલો અંડરવર્લ્ડ સાથે જોડાયેલો છે, આ કારણે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે રિયાઝ ભાટી હાલ જેલમાં છે અને તેણે જેલમાં બેસીને ફરિયાદીને ધમકી આપી હતી.

mumbai police narendra modi yogi adityanath jj hospital mumbai