મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન:100 કિમી પુલની કામગીરી પૂર્ણ, આટલા કરોડના ખર્ચનો અંદાજ

24 November, 2023 10:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટ માટે, 100 કિમી માટે વાયડક્ટનું બાંધકામ અને 230 કિમી માટે થાંભલાઓનું સ્થાપન પૂર્ણ થયું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.

બુલેટ ટ્રેન (પ્રતીકાત્મક ફોટો)

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટ માટે, 100 કિમી માટે વાયડક્ટનું બાંધકામ અને 230 કિમી માટે થાંભલાઓનું સ્થાપન પૂર્ણ થયું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL),જે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ નિર્માણ કાર્ય કરી રહી છે, તેણે આ માહિતી આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર આ સંદર્ભમાં એક વીડિયો પણ જાહેર કર્યો છે.

NHSRCL મુજબ, આ પુલોમાં ગુજરાતની છ નદીઓ એટલે કે વલસાડ જિલ્લાના પાર અને ઔરંગાબાદ, નવસારી જિલ્લામાં પૂર્ણા, મીંધોલા, અંબિકા અને વેંગાનિયા પરના પુલનો સમાવેશ થાય છે. NHSRCLએ જણાવ્યું હતું કે, “પ્રોજેક્ટનો પહેલો ગર્ડર 25 નવેમ્બર, 2021ના રોજ લગાવવામાં આવ્યો હતો અને છ મહિનામાં એટલે કે 30 જૂન, 2022 સુધીમાં બ્રિજનો એક કિલોમીટર તૈયાર થઈ ગયો હતો. આ વર્ષે 22 એપ્રિલે 50 કિલોમીટરના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું અને ત્યારબાદ છ મહિનામાં 100 કિલોમીટરના પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે આ ઉપરાંત પ્રોજેક્ટ માટે 250 કિલોમીટરના થાંભલાઓ લગાવવાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે અને બાંધવામાં આવેલા બ્રિજની બાજુઓ પર નોઈઝ બેરિયર્સ લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

શેરહોલ્ડિંગ સિસ્ટમ મુજબ, કેન્દ્ર સરકાર NHSRCLને રૂ. 10,000 કરોડ ચૂકવશે, જ્યારે ગુજરાત સરકાર રૂ. 5,000 કરોડ ચૂકવશે અને મહારાષ્ટ્ર સરકાર પણ સમાન રકમ ચૂકવશે. બાકીનો ખર્ચ જાપાન પાસેથી 0.1 ટકાના વ્યાજે લોન દ્વારા ચૂકવવામાં આવી રહ્યો છે.

સપ્ટેમ્બર 2017માં અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ટ્રેન લગભગ બે કલાકમાં 500 કિલોમીટરથી વધુનું અંતર કાપશે તેવી અપેક્ષા છે.

નોંધનીય છે કે  ગુજરાતના વલસાડમાં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર એટલે કે બુલેટ ટ્રેનના રૂટમાં પ્રથમ પર્વતીય ટનલ બનાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ કોરિડોર પર 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો દોડતી જોવા મળશે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

વલસાડ વિભાગના મુખ્ય પ્રોજેક્ટ મેનેજર એસપી મિત્તલે ગુરુવારે પીટીઆઈને જણાવ્યું હતું કે, "સૌથી વધુ આનંદની વાત એ છે કે આ ભારતની પ્રથમ ટનલ છે, જેમાં 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન પસાર થશે." તેમણે કહ્યું કે ટનલના બાંધકામના સમગ્ર સમયગાળા દરમિયાન એક પણ અપ્રિય ઘટનાનો સામનો કરવો પડ્યો નથી.

bullet train mumbai news ahmedabad gujarati mid-day maharashtra news