જેજે હૉસ્પિટલમાં મચ્છરોનો ત્રાસ : રેસિડન્ટ ડૉક્ટરો ડેન્ગી અને મલેરિયાથી પીડાય છે

06 October, 2023 11:35 AM IST  |  Mumbai | Eshan Kalyanikar

મહારાષ્ટ્ર રેસિડન્ટ ડૉક્ટર્સ અસોસિએશન અનુસાર ૧૪ રેસિડન્ટ ડૉક્ટર્સ ડેન્ગીથી પીડિત છે, જ્યારે હૉસ્પિટલના ડીન દાવો કરે છે કે માત્ર ત્રણ જ વ્યક્તિને દાખલ કરવામાં આવ્યા છે

જેજે હૉસ્પિટલમાં ચાલી રહેલું કન્સ્ટ્રક્શન વર્ક

જેજે હૉસ્પિટલના રેસિડન્ટ ડૉક્ટર્સે વૉર્ડ અને હૉસ્ટેલ પરિસરમાં મચ્છરોની સમસ્યા વિશે ચિંતા વ્યક્ત કરી છે. મહારાષ્ટ્ર રેસિડન્ટ ડૉક્ટર્સ અસોસિએશન અનુસાર ૧૪ રેસિડન્ટ ડૉક્ટર્સ ડેન્ગીથી પીડિત છે, જ્યારે હૉસ્પિટલના ડીન દાવો કરે છે કે માત્ર ત્રણ જ વ્યક્તિને દાખલ કરવામાં આવ્યા છે.

જેજેના જુનિયર રેસિડન્ટ ડૉક્ટરને ગયા શુક્રવારથી તાવ હતો. તેમની તપાસ થતાં ડેન્ગી પૉઝિટિવ આવ્યો. તેમણે કહ્યું હતું કે ‘હૉસ્પિટલનું રીકન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. ત્યાં ભેજવાળું વાતાવરણ હોવાથી અને મારા વૉર્ડમાં મચ્છરોનો ઉપદ્રવ પણ છે માટે શક્યતા છે કે મને હૉસ્પિટલના પરિસરમાં જ ડેન્ગી થયો હોય.’

ગાયનેકોલૉજિસ્ટ વૉર્ડમાં કામ કરતા ડૉક્ટરે જણાવ્યું હતું કે ‘કન્સ્ટ્રક્શન સાઇટ્સ મચ્છર નિયંત્રણ પગલાંઓનું પાલન કરતી નથી.’ અન્ય એક જુનિયર રેસિડન્ટ ડૉક્ટરે ઉમેર્યું હતું કે ‘હૉસ્ટેલ્સની હાલત ગંભીર છે. માત્ર રેસિડન્ટ ડૉક્ટર્સ જ નહીં, વૉર્ડનો સ્ટાફ પણ ડેન્ગીથી સંક્રમિત છે.’ સુપર સ્પેશ્યલિટી બિલ્ડિંગનું ચાલી રહેલું કામ ૨૦૨૫ સુધી પૂર્ણ થાય એવી અપેક્ષા છે.

જેજેના એક સિનિયર રેસિડન્ટ ડૉક્ટરે જણાવ્યું હતું કે ‘કન્સ્ટ્રક્શન કામો શરૂ થયાંને વર્ષો થઈ ગયાં છે માટે હવે એવું લાગે છે જાણે આ હૉસ્પિટલ નહીં, પણ કોઈ હાઉસિંગ સોસાયટીનું રિડેવલપમેન્ટ હોય!’ જેજે હૉસ્પિટલનાં ડીન ડૉ. પલ્લવી સાપલેએ જણાવ્યું હતું કે ‘બીએમસીની પેસ્ટ કન્ટ્રોલ ઍક્ટિવિટી સામાન્ય રીતે ચોમાસાની આસપાસ થાય છે. અમારી રિક્વેસ્ટ પર તેઓ આવે છે. પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટને નિર્દેશ આપવામાં આવ્યો છે કે પાણી કે કચરો જમા ન થાય એ સુનિશ્ચિત કરે.’

હૉસ્પિટલ સાથે છેલ્લાં થોડાં વર્ષોથી સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘દર વર્ષે બીએમસી દ્વારા મચ્છર નિયંત્રણ માટે ફોગિંગની પ્રવૃત્તિ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે એવું કંઈ થયું નથી.’

jj hospital mumbai mumbai news