Maratha Reservation: જાલના હિંસા પર રોષે ભરાયા આદિત્ય ઠાકરે, માગ્યું સીએમનું રાજીનામું

03 September, 2023 09:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના જાલનામાં મરાઠા આરક્ષણ (Maratha Reservation) આંદોલન શુક્રવારે હિંસક બન્યું હતું. આ આંદોલનમાં 38 પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રના જાલનામાં મરાઠા આરક્ષણ (Maratha Reservation) આંદોલન શુક્રવારે હિંસક બન્યું હતું. આ આંદોલનમાં 38 પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે, શનિવાર બપોર સુધી 360 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે. આ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકારણ (Maharashtra Politics) ગરમાયું છે. હવે આ મામલે આદિત્ય ઠાકરે (Aaditya Thackeray)ની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સીએમ એકનાથ શિંદે પર પ્રહાર કરતાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે જો તેમનામાં જરાક પણ શરમ હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ

હિંસક લાઠીચાર્જ

શિવસેના (UBT)ના નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે (Aaditya Thackeray)એ કહ્યું કે, “જાલનામાં જે બન્યું તે આપણે બધાએ જોયું છે. લાઠીચાર્જ ખૂબ જ હિંસક રીતે કરવામાં આવી રહ્યો હતો જાણે કોઈ તેના દુશ્મન પર હુમલો કરી રહ્યું હોય. મુખ્યપ્રધાનને જાણ કર્યા વિના પોલીસ લાઠીચાર્જ કરે તે શક્ય નથી. રાજ્ય સરકારને થોડી પણ શરમ હોય તો રાજીનામું આપવું જોઈએ.”

`પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી`

અહીં નાયબ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે પથ્થરમારાને કારણે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે આંદોલન હિંસક બન્યું હતું અને કેટલાક લોકોએ રાજ્ય પરિવહનની બસો અને ખાનગી વાહનોને નિશાન બનાવ્યા હતા.

ફડણવીસે ઘાયલ થયેલા પોલીસકર્મીઓની સંખ્યા 12 ગણાવી હતી, જ્યારે જાલના જિલ્લા પોલીસ અધિક્ષક તુષાર દોશીએ મોડી રાત્રે જણાવ્યું હતું કે પથ્થરમારામાં 32 પોલીસકર્મીઓ અને છ અધિકારીઓ ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ગંભીર ઈજાગ્રસ્તોને જાલના મ્યુનિસિપલ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

દાદરમાં પ્રદર્શન

સકલ મરાઠા સમાજે રવિવારે જાલનામાં વિરોધીઓ પર પોલીસે કરેલા લાઠીચાર્જ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. જાલના જિલ્લામાં મરાઠા આરક્ષણ વિરોધમાં કથિત પોલીસ અત્યાચાર એક રાજકીય મુદ્દો બની ગયો છે. અગ્રણી MVA નેતાઓએ શનિવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઘાયલોને મળ્યા હતા અને રાજ્ય સરકારની નિંદા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસ સત્તામાં રહેલા લોકોના નિર્દેશ વિના આટલી કડક કાર્યવાહી કરી શકી ન હોત.

આ હિંસક ઘટના પર મરાઠા સંગઠનો તરફથી આકરી પ્રતિક્રિયા મળી રહી છે જેઓ ઘણા વર્ષોથી સમુદાય માટે આરક્ષણની માગ કરી રહ્યા છે. ઘણા જિલ્લાઓમાં શનિવારે મોરચો જોવા મળ્યો હતો, અગ્નિદાહની છૂટાછવાયા બનાવો અને કેટલાક સ્થળોએ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જાણકાર લોકોએ કહ્યું કે વિરોધની શ્રેણી શરૂ થઈ ગઈ છે અને તે રાજ્યભરમાં ફેલાઈ જશે.

ઉલ્લેખનીય છે કે મરાઠા ક્વોટાને બે અલગ-અલગ સરકારો દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ અદાલતોએ તેને રદ કર્યો હતો. મામલો હજુ કાયદાકીય જાળમાં ફસાયેલો છે. મરાઠા સમુદાય રાજ્યમાં સૌથી મોટો છે અને ચૂંટણીની સ્પર્ધામાં રાજકીય પક્ષોની સફળતાની ચાવી ધરાવે છે.

aaditya thackeray shiv sena eknath shinde mumbai mumbai news maharashtra political crisis