Maharashtra Road Accident: મુંબઈ-નાગપુર એક્સપ્રેસવે પર દર્દનાક અકસ્માત, 7નાં મોત, 3ની હાલત નાજુક

29 June, 2024 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Maharashtra Road Accident: ઘટનાસ્થળે જ છ લોકોને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. એક વ્યક્તિએ ગંભીર ઇજાઓ થવાને કારણે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

અકસ્માતની પ્રતીકાત્મક તસવીર

શુક્રવારની મોડી રાત્રે મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે તરીકે ઓળખાતા મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત (Maharashtra Road Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં બે કાર વચ્ચે ટક્કર થવાને કારણે સાત જેટલા લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ સાથે જ અન્ય ત્રણ પ્રવાસીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. 
છ લોકોએ તો ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો

આ અકસ્માત (Maharashtra Road Accident) એટલો કરપીણ હતો કે ઘટનાસ્થળે જ છ લોકોને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન બાદમાં તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. 

પ્રાપ્ત અહેવાલો અનુસાર આ અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો. કડવાંચી ગામ પાસે બનેલા આ અકસ્માતમાં જે પીડિતોએ જીવ ગુમાવ્યો છે તેઓ મુંબઈનાં મલાડ (પૂર્વ)ના તેમ જ બુલઢાણાનાં વતની હતા.

કારની ટક્કર એવી જોરદાર હતી કે...

બંને વાહનો વચ્ચેની ટક્કર (Maharashtra Road Accident) એટલી જોરદાર હતી કે એર્ટીગા હવામાં ઉછળીને હાઇવે પરના બેરિકેડ પર જઈને પડી હતી. આ પરથી આ અકસ્માતની ગંભીરતાનું અનુમાન લગાવી શકાય છે. જોરદાર ટક્કર બાદ વાહનોમાં બેઠેલા પ્રવાસીઓ કૂદીને બહાર રોડ પર ફેંકાયા હતા. વાહન પણ આ અકસ્માતમાં સંપૂર્ણ રીતે નાશ પામ્યું હોવાના અહેવાલ છે.

એક પોલીસ અધિકારીએ આ બાબતે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે "નાગપુરથી મુંબઈ જઈ રહેલ એક મલ્ટી-યુટિલિટી વ્હીકલ (MUV) અને વિરુદ્ધ દિશામાં જઈ રહેલી કાર સામસામે ટક્કર થઈ હતી. આ ગંભીર અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો”

સ્થાનિકો દોડી આવ્યા હતા 

જ્યારે આ અકસ્માત (Maharashtra Road Accident) બન્યો ત્યારે સ્થાનિક ગ્રામજનો પોલીસ સાથે જ ઘટના સ્થળે પહોંચી ગયાં હતા અને તેઓએ વાહનોના જે ટુકડે ટૂકડાં થયા હતા તેનાં નીચે દટાઈ ગયેલા લોકોને બચાવવા માટે કામગીરી શરૂ કરી દીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર છ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્રણ ઇજાગ્રસ્તોને અહીં સારવાર આપવામાં આવી રહી છે.

તમને જણાવી ડી કે સમૃદ્ધિ હાઈવે મુંબઈ અને નાગપુરને જોડતો 701 કિલોમીટરનો છ લેનનો એક્સપ્રેસવે છે. નાગપુરથી શિરડીને જોડતા હાઇવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન ડિસેમ્બર 2022માં કરવામાં આવ્યું હતું. આ સાથે જ મે મહિનામાં મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ખાનગી બસ અને રાજ્ય પરિવહનની બસ વચ્ચેની જે ટક્કર થઈ હતી તેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા.

mumbai mumbai news nagpur malad road accident