Lalbaugcha Raja : મંડળની એવી કઈ ભૂલ થઈ કે મરાઠા મોરચાએ નોંધાવી પોલીસ ફરિયાદ?

20 September, 2023 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Lalbaugcha Raja : મરાઠા ક્રાંતિ મોરચાએ આ ગણેશ મંડળ વિરુદ્ધ આરોપ લગાવ્યો છે કે તેમણે છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાનું અપમાન કર્યું છે. તેઓ કહે છે કે લાલબાગના રાજાના ચરણોમાં શિવરાજમુદ્રા છાપીને સમગ્ર શિવ અનુયાયીઓનું અપમાન થયું છે.

લાલબાગચા રાજા ગણેશ મંડળ (ફાઈલ તસવીર)

મુંબઈમાં હાલ ગણેશોત્સવ નિમિત્તે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. નાના-મોટા પંડાલોમાં ગણપતિની સ્થાપના થઈ ચૂકી છે અને લોકો મોટા પ્રમાણમાં દર્શન માટે પહોંચે છે. મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજા (Lalbaugcha Raja)ના દર્શન કરવા પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આ વચ્ચે જ લાલબાગ ચા રાજા મંડળ વિરુદ્ધ મરાઠા ક્રાંતિ મોરચા વતી કાલાચોકી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મરાઠા ક્રાંતિ મહામોરચા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. મરાઠા ક્રાંતિ મોરચાએ લાલબાગચા રાજા મંડળ વિરુદ્ધ એવો આરોપ લગાવ્યો છે કે આ મંડળે છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાનું અપમાન કર્યું છે.

મરાઠા ક્રાંતિ મોરચાએ એવો આરોપ લગાવ્યો છે કે લાલબાગ ચા રાજા (Lalbaugcha Raja) મંડળે પિતાંબરમાંથી બનેલ  છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાને લાલબાગના રાજાને પહેરાવી છે. આ જ બાબતને લઈને મરાઠા ક્રાંતિ મોરચાએ આરોપ લગાવ્યો છે કે ભગવાન ગણેશજીની મૂર્તિના પગ પર આ રાજમુદ્રા મૂકવામાં આવી હતી. 

ગણેશોત્સવ નિમિતે દરવર્ષે ભાવીભક્તો મુંબઈમાં ગણેશ મંડળોના દર્શનાર્થે આવતા હોય છે. એમ,આ પણ ખાસ કરીને દેશભરમાંથી લોકો પ્રખ્યાત લાલબાગ ચા રાજાના દર્શન કરવા આવે છે. આ વર્ષે લાલબાગના રાજા મંડળનું 90મું વર્ષ છે. 350મા શિવ રાજ્યાભિષેક નિમિત્તે મંડળે આ વર્ષે રાયગઢની જેમ મંડપને શણગાર્યો છે. 

જોકે, લાલબાગના રાજા (Lalbaugcha Raja)ના ચરણોમાં છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાની તસવીરને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. જેનો શિવ પ્રેમીઓએ વાંધો ઊઠાવ્યો હતો તેમ જ આ બાબતનો તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો.

એટલું જ નહીં મરાઠા સમુદાયે પણ આક્રમક વલણ અપનાવ્યું છે. તેઓએ પણ લાલબાગના રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મરાઠા ક્રાંતિ મોરચાએ પોતાની વાત જણાવતા કહ્યું હતું કે, “આ ખેદજનક કૃત્ય છે કે આપણી આઝાદીનું પ્રતિક માથા પર મૂકવામાં આવે એની બદલે પગ પર  મૂકવામાં આવ્યું છે.”

આ સાથે જ મરાઠા ક્રાંતિ મોરચાનું કહેવું છે કે તેઓને આ વિવાદને કોઈપણ રીતે વધવા દેવો નથી. જો કે, મરાઠી ક્રાંતિ મોરચાના અધિકારીઓએ લાલબાગ રાજા (Lalbaugcha Raja) મંડળ તરફથી કોઈ ખુલાસો ન થવાને કારણે નારાજગી વ્યક્ત કરી હતી.

"લાલબાગના રાજાના ચરણોમાં છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રા બતાવવાનો જે પ્રયાસ મંડળ દ્વારા કરવામાં આવ્યો છે તે પાછળનો ચોક્કસ હેતુ શું હતો? અમે શિવ અનુયાયીઓ આ જાણતા નથી. પરંતુ આ મંડળે લાલબાગના રાજાના ચરણોમાં શિવરાજમુદ્રા છાપીને સમગ્ર શિવ અનુયાયીઓનું અપમાન કર્યું છે.

લાલબાગના રાજા (ગણપતિ બાપ્પા) ભગવાન હોવા છતાં છત્રપતિ શિવાજી મહારાજના કારણે આજે તેઓ પંડાલમાં છે. અને તેમના ચરણોમાં આ રાજમુદ્ર હોય તે જરાય સ્વીકાર્ય નથી.” એમ મરાઠા ક્રાંતિ મોરચાનું કહેવું છે.

lalbaug lalbaugcha raja shivaji maharaj mumbai news mumbai police mumbai