સ્વામી વિવેકાનંદ પર પ્રશ્ન ઉઠાવનાર અમોઘ લીલા દાસને Iskconએ કર્યા બૅન

11 July, 2023 10:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્વામી વિવેકાનંદ પર ISKCONના સંત અમોઘ લીલા દાસે એવું શું કહી દીધું કે નૂકાયું એક મહિનાનું બૅન અને હવે એક મહિનાનું કરશે પ્રાયશ્ચિત, થઈ રહ્યા છે વાયરલ

અમોઘ લીલા દાસ (તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)

સ્વામી અમોઘ લીલા આગામી એક મહિના સુધી કોઈ પ્રવચન નહીં આપે. આ સિવાય તે ઈસ્કૉનની (Iskcon) ગતિવિધિઓમાં પણ આગામી એક મહિના સુધી ભાગ નહીં લઈ શકે. તે સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણાં દિવસોથી નિશાને ચડ્યા હતા.

ઇસ્કૉન મંદિર સોસાઈટી સાથે જોડાયેલા સ્વામી અમોઘ લીલા દાસે પોતાની એક ભૂલ માટે એક આખો મહિનો પ્રાયશ્ચિત કરવાનો નિર્ણય લીધો છે. સ્વામી વિવેકાનંદ અને તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ પર વાંધાજનક ટિપ્પણી કરવા મામલે તે ખૂબ જ ખરાબ રીતે ઘેરાયા હતા. આ હેઠળ સ્વામી અમોઘ લીલા આગામી એક મહિના સુધી કોઈ પ્રવચન નહીં આપે. આ સિવાય તે ઈસ્કૉનની કોઈપણ ગતિવિધિઓમાં આગામી એક મહિના સુધી ભાગ નહીં લઈ શકે. અમોઘ લીલા દાસ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ રહે છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર તેમની રીલ્સને લાખો વ્યૂઝ મળે છે. આ સિવાય તે એક મોટિવેશનલ સ્પીકર તરીકે પણ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે.

અમોઘ લીલા દાસે પોતાના એક પ્રવચનમાં સ્વામી વિવેકાનંદના માછલી ખાવા પર પ્રશ્ન ઉઠાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આખરે કોઈ અધ્યાત્મિક વ્યક્તિ કોઈ જીવને નુકસાન પહોંચાડનારું કામ કેવી રીતે કરી શકે છે. આવી વસ્તુઓનું સેવન કેવી રીતે કરી શકે છે? અમોઘ લીલા દાસે કહ્યું હતું કે "કેવી રીતે કઈ અધ્યાત્મિક વ્યક્તિ માછલી ખાઈ શકે છે? એક માછલીને પણ દુઃખ થતું હશે, પીડા થતી હશે, સાચી વાત છે ને? તો પછી શું વિવેકવાન કે અધ્યાત્મિક શખ્સ માછલી ખાઈ શકે છે?" એટલું જ નહીં મોટી સંખ્યામાં લોકોને સંબોધિત કરતા લીલા દાસે સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ પર પણ પ્રશ્ન ઉઠાવી દીધો હતો.

તેમની ટિપ્પણી બાદથી જ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો હતો. સોશિયલ મીડિયા પર મોટા પાયે લોકો અમોઘ લીલા દાસ વિરુદ્ધ એક્શનની માગ કરી રહ્યા હતા. આ મામલે ઈસ્કૉન મંદિર સોસાઈટીએ નિવેદન પર દુઃખ વ્યક્ત કર્યું છે. એટલું જ નહીં તેમના પર એક મહિના માટે પ્રતિબંધનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈસ્કૉને કહ્યું, "ખોટી અને અસ્વીકાર્ય ટિપ્પણીઓ બે મહાન હસ્તિઓ પર કરવામાં આવી છે, તે તેમણે અજ્ઞાનતામાં કર્યું હશે." આગળ આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમોઘ લીલા દાસે પોતાના નિવેદન માટે માફી માગી લીધી છે. હવે તે એક મહિના માટે પ્રાયશ્ચિત પર જશે. તે આ દરમિયાન પબ્લિક લાઈફથી સંપૂર્ણ રીતે દૂર રહેશે. આ દરમિયાન તે ગોવર્ધન પર્વત પર રહેશે.

iskcon mumbai news mumbai