13 December, 2024 12:46 PM IST | Ratnagiri | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રત્નાગિરિ જિલ્લામાં જયગઢની પાસે આવેલા ગામમાં JSW ગ્રુપના પાવરપ્લાન્ટમાંથી ગઈ કાલે ગૅસગળતર થયું હતું જેને કારણે બાજુમાં આવેલી જયગઢ વિદ્યામંદિર સ્કૂલના ૩૦ કરતાં વધુ વિદ્યાર્થીઓને એની અસર થઈ હતી. તેમણે આંખમાં બળતરા થવાની અને પાણી પડવાની ફરિયાદ કરી હતી. તરત જ આ વિદ્યાર્થીઓને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
એ વખતે સ્કૂલમાં ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ હતા. જોકે એમાંથી ૩૦ કરતાં થોડા વધુ વિદ્યાર્થીઓએ તકલીફ થતી હોવાની ફરિયાદ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ પ્લાન્ટની ટાંકી ક્લીન કરવામાં આવી રહી હતી ત્યારે એમાંથી કેમિકલ ગૅસ લીક થયો હતો જે કલરલેસ અને તીવ્ર ગંધવાળો હતો. પાછો એ ઝડપથી સળગી ઊઠે એવો હતો. આ ગૅસનો ઉપયોગ પેસ્ટિસાઇડ્સ બનાવવામાં થતો હોય છે. સારવાર આપ્યા બાદ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નહોતી જણાઈ.