Ganpati Visarjan 2023 : બાપ્પાની ૩૭,૫૯૯ મૂર્તિઓનું થયું વિસર્જન, કોઈ અણબનાવ નહીં

29 September, 2023 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ganpati Visarjan 2023 : મુંબઈગરાનાં લાડકાં બાપ્પાની અંતિમ વિદાય સમયે શહેરના ખૂણે ખૂણેથી આવ્યાં ભક્તો

ગિરગામ ચૌપાટી પર વિસર્જન સમયે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી (તસવીર : સૈય્યદ સમીર આબેદી)

ગઈકાલે અનંત ચૌદશ (Anant Chaturdashi) સાથે ગણેશોત્સવ (Ganeshtosav 2023)ની સમાપ્તિ થઈ છે. ગણપતિ વિસર્જન (Ganpati Visarjan 2023) સાથે જ બાપ્પાએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ભગવાન ગણેશની મૂર્તિઓનાં વિસર્જન સાથે મુંબઈગરાંએ તેમના લાડકાં બાપ્પાને વિદાય આપી હતી. ગઈકાલે વહેલી સવારથી શરુ થયેલા વિસર્જનમાં આજે સવારે ૩ વાગ્યા સુધીમાં ૩૭,૫૯૯ મૂર્તિઓનું વિસર્જન થયું હતું. આ દરમિયાન કોઈ અણબનાવ બન્યો નહોતો.

બૃહન્મુંબઈ મહાનગર પાલિકા – બીએમસી (BMC) દ્વારા જાહેર કવામાં આવેલા આંકડા અનુસાર, ગણપતિ વિસર્જન દરમિયાન ભગવાન ગણેશ અને ગૌરીની ૩૭,૫૯૯ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિવિધ જળાશયોમાં કુલ ૫,૮૪૦ સાર્વજનિક ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ૩૧,૩૨૨ ઘરઘથ્થુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમજ ૪૩૭ ગૌરી મૂર્તિઓનું વિસર્જન પણ થયું હતું.

ઇકો-ફ્રેન્ડલી ઉજવણીને પ્રોત્સાહન આપવા અને કુદરતી જળાશયોના પ્રદૂષણને ઘટાડવાના પ્રયાસરૂપે શહેરમાં ઠેકઠેકાણે કૃત્રિમ તળાવો બાંધવામાં આવ્યાં હતાં. આ તળાવોમાં મૂર્તિઓનું વિસર્જન કરવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

કૃત્રિમ તળાવોમાં ૭૩૪ સાર્વજનિક ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ૧૦,૧૨૧ ઘરગથ્થુ મૂર્તિઓએ આ ઇકો-ફ્રેન્ડલી વિસર્જન પ્રણાલીની પસંદગી કરી હતી. ૧૫૮ ગૌરી મૂર્તિઓનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ મકુલ ૧૧,૦૧૩ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

સૌથી સારી બાબત એ છે કે, વિસર્જન દરમિયાન કોઈપણ દુર્ઘટના નહોતી ઘટી, મુંબઈ પોલીસ (Mumbai Police) દ્વારા ૧૯,૦૦૦ કરતાં વધુ કર્મચારીઓ વિસર્જન માટે તહેનાત કરવામાં આવ્યાં હતાં.

શહેરમાં ઠેકઠેકાણે ગઈ કાલ વહેલી સવારથી વિસર્જન યાત્રાની શરુઆત થઈ હતી. મુંબઈકર્સ તેમના મનપસંદ દેવતાની ઝલક મેળવવા રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. પ્રિય ગણપતિ બાપ્પાંની આખરી ઝલક માટે ભક્તો સવારથી રસ્તા પર, વિસર્જન સ્થળોએ એકઠાં થયાં હતા. મુંબઈ શહેર અને ઉપનગરમાં ‘ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા!’નો નાદ ગુંજી ઉઠ્યો હતો.

મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ગિરગાંવ (Girgaon) ખાતે ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં જોડાયા હતાં. આ દરમિયાન તેમણે ગણપતિ બાપ્પાની મૂર્તિઓ પર ફૂલોની વર્ષા પણ કરી હતી.

ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) ભગવાન ગણેશના જન્મની ઉજવણી કરે છે. ગણેશોત્વસ સૌથી લોકપ્રિય હિંદુ તહેવારોમાંનો એક છે. ચર્તુથીથી શરુ થયેલો તહેવાર અનંત ચૌદશ સુધી ચાલે છે. આમ દસ દિવસ ગણેશોત્વસ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ સમય દરમિયાન ભગવાન ગણેશ તેમની માતા, દેવી પાર્વતી સાથે પૃથ્વી પર આવે છે અને લોકો પર આશીર્વાદની વર્ષા કરે છે. દસ દિવસના હર્ષોલ્લાસ બાદ જ્યારે ગણપતિ બાપ્પા વિદાય લે છે ત્યારે દરેકની આંખો ભીની થાય છે.

ganpati visarjan ganesh chaturthi girgaon juhu chowpatty girgaum chowpatty versova brihanmumbai municipal corporation eknath shinde devendra fadnavis mumbai mumbai news