ગણેશોત્સવના છેલ્લા સાત દિવસ મેટ્રો અડધો કલાક વધુ દોડશે

06 September, 2024 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સુવિધા ૧૧ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન મળશે

ફાઇલ તસવીર

મુંબઈના લાડકા ગણપતિબાપ્પાનું આવતી કાલે આગમન થવાનું છે ત્યારે પહેલા બે-ત્રણ દિવસ મોટા ભાગે લોકો ઘરના કે નજીકના સગાના ગણપતિમાં રોકાયેલા હોય છે. એ પછી તેઓ મુંબઈના અલગ-અલગ જાણીતા ગણપતિનાં દર્શન કરવા પરિવાર અને મિત્રો સાથે નીકળતા હોય છે. તેમને આવવા-જવામાં સરળતા રહે એ માટે મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ દ્વારા મેટ્રોની સર્વિસ જે પહેલાં ૧૧ વાગ્યા સુધી હતી એ લંબાવીને ૧૧.૩૦ વાગ્યા સુધી કરવામાં આવી છે. આ સુવિધા ૧૧ સપ્ટેમ્બરથી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન મળશે.

અંધેરી-ઈસ્ટના ગુંદવલીથી અંધેરી-વેસ્ટમાં ડી. એન. નગર જવા માટે ગુંદવલીથી છેલ્લી ટ્રેન ૧૧ વાગ્યાની હશે, જ્યારે ગુંદવલીથી દહિસર માટે ૧૧.૧૫ અને ૧૧.૩૦ વાગ્યે ટ્રેન મળશે.

એ જ પ્રમાણે અંધેરી-વેસ્ટના ડી. એન. નગરથી ગુંદવલી માટે છેલ્લી ટ્રેન ૧૧ વાગ્યાની હશે અને દહિસર માટેની છેલ્લી બે ટ્રેન ૧૧.૧૫ અને ૧૧.૩૦ વાગ્યાની રહેશે.

દહિસરથી અંધેરી-વેસ્ટ જવા માટે છેલ્લી ટ્રેન ૧૧.૩૩ વાગ્યે અને ગુંદવલી માટે છેલ્લી ટ્રેન ૧૧.૩૬ વાગ્યે મળશે.

ganesh chaturthi ganpati mumbai metro andheri dahisar mumbai mumbai news