દાદરની હિન્દુ કૉલોનીમાં લાગેલી આગમાં સિનિયર સિટિઝનનું મોત

24 September, 2023 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું.

તસવીર : શાદાબ ખાન

દાદર-ઈસ્ટની હિન્દુ કૉલોનીમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ ૧૫ માળના રેઇન ટ્રી બિલ્ડિંગના ૧૩મા માળે ગઈ કાલે સવારે ૮.૩૭ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ આગમાં ૬૦ વર્ષના સચિન પાટેકરનું ધુમાડો શ્વાસમાં જવાને કારણે ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયું હોવાનું સાયન હૉસ્પિટલના ડૉક્ટરોએ બીએમસીને જણાવ્યું હતું.

બીએમસીના જણાવ્યા અનુસાર આગ લાગ્યાની જાણ થતાં જ બે ફાયર એન્જિન, જમ્બો ટૅન્કર અને ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. આગ ૧૩૦૨ નંબરના બંધ ફ્લૅટમાં લાગી હતી જેમાં ઘરનો સામાન અને રાચરચીલું હતાં. આગને કારણે બહુ જ ધુમાડો થયો હતો. સચિન પાટકરના શ્વાસમાં ધુમાડો જતાં ગૂંગળામણ થવા માંડતાં તેમને સારવાર માટે તરત જ સાયન હૉસ્પિટલ લઈ જવાયા હતા. જોકે ડૉક્ટરે તેમને દાખલ કરતાં પહેલાં જ તપાસીને મૃત જાહેર કર્યા હતા. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું. ફાયર બ્રિગેડના જવાનોએ આ ઘટનામાં ફસાઈ ગયેલી એક મહિલાને બચાવી લીધી હતી.

fire incident dadar mumbai mumbai news