મુંબઈ-ગોવા રોડ પર જીવલેણ અકસ્માત : નવ લોકોનાં મોત

20 January, 2023 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૃત્યુ પામેલા લોકોમાં પાંચ પુરુષો, ત્રણ મહિલાઓ અને એક બાળકીનો સમાવેશ થાય છે

જીવલેણ અકસ્માત

મુંબઈ-ગોવા હાઇવે પર ગઈ કાલે પરોઢિયે ૪.૪૫ વાગ્યે રાયગડ જિલ્લાના રેપોળી ગામ પાસે ટ્રક અને વૅન વચ્ચે સામસામે ઍક્સિડન્ટ થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં પ્રવાસ કરી રહેલા નવ જણનાં મોત થયાં હતાં. મૃત્યુ પામેલા લોકોમાં પાંચ પુરુષો, ત્રણ મહિલાઓ અને એક બાળકીનો સમાવેશ થાય છે. વૅનમાં પ્રવાસ કરનારા બધા સંબંધીઓ હતા અને રત્નાગિરિ જિલ્લાના ગુહાગર નજીકના હેદવી ગામના હતા. તેઓ ગુહાગર જઈ રહ્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા એક છોકરાને માણગાવની સરકારી હૉસ્પિટલમાં દાખલ 
કરીને સારવાર આપવામાં આવી રહી છે. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. 

mumbai mumbai news goa mumbai-goa highway