27 June, 2024 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે
મહારાષ્ટ્ર વિધાનસભાનું આજથી ચોમાસુ અધિવેશન શરૂ થઈ રહ્યું છે એની પહેલાં ગઈ કાલે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને અત્યારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની જામી ગઈ હતી.
છેલ્લા થોડા સમયથી એકનાથ શિંદે પર શાબ્દિક હુમલો કરવાનો કોઈ મોકો ન છોડતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ખોકે સરકારની વિદાયનું આ અધિવેશન છે. આનો પ્રત્યુત્તર આપતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે તમે શું ફેસબુક લાઇવ કરીને વિદાય આપશો? જ્યારથી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સાથે છેડો ફાડીને મોટા ભાગના વિધાનસભ્યોને પોતાની સાથે કરી લીધા હતા ત્યારથી આદિત્ય ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે આ વિધાનસભ્યોને એકનાથ શિંદે પૈસાના બળ પર પોતાની સાથે લઈ ગયા હોવાનો આરોપ કરતા આવ્યા છે અને આ જ કારણસર તેઓ આ સરકારને ‘ખોકે સરકાર’ કહે છે.
બીજી બાજુ, ઉદ્ધવ ઠાકરે કોરાનાકાળ દરમ્યાન બાંદરામાં આવેલા પોતાના ‘માતોશ્રી’ બંગલામાંથી બહાર નીકળીને મંત્રાલય કે પછી હૉસ્પિટલમાં જવાને બદલે ઘરમાંથી ફેસબુક લાઇવ કરીને રાજ્યના નાગરિકોને સંબોધતા હોવાથી એકનાથ શિંદેએ તેમને ફેસબુક લાઇવનો ટોણો માર્યો હતો.