30 June, 2024 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે રાજ્યમાં કોઈ પણ પ્રકારના ડ્રગ્સના ધંધાને ચલાવી નહીં લેવાય. પુણેમાં નશીલા પદાર્થનું વેચાણ અને સેવન કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાથી વિરોધ પક્ષોએ સરકારને નિશાના પર લીધી છે ત્યારે પુણેમાં તેમણે કહ્યું હતું કે ‘યુવાનોમાં ડ્રગ્સનું સેવન કરવાના પ્રમાણમાં વધારો થયો છે એટલે આ દૂષણને નાબૂદ કરવા માટે નશીલા પદાર્થના ધંધા સાથે સંકળાયેલા તમામ લોકો સાથે સખત હાથે કામ લેવામાં આવશે. પોલીસને નશીલા પદાર્થનું વેચાણ અને સપ્લાય કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કોઈ પોલીસ-અધિકારી નશીલા પદાર્થ સામેની કાર્યવાહી કરવામાં ઢીલ કરતો જણાશે તો તેને સસ્પેન્ડ કરવામાં આવશે. આ સિવાય સ્કૂલ અને કૉલેજ નજીકની પાનની દુકાનોને હટાવવાનો આદેશ આપ્યો છે.’