06 June, 2023 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી શનિવારે છ કરોડ રૂપિયાની કિંમતનું દસ કિલો દાણચોરી કરીને લવાતું સોનું જપ્ત કરીને ચાર જણની ધરપકડ કરી હતી. બે અલગ-અલગ ઘટાનાઓમાં આ સોનું પકડાયું હતું.
ખબરીએ આપેલી બાતમીને આધારે ડીઆરઆઇએ શારજાહથી ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુંબઈ આવેલા બે પૅસેન્જરોને આંતરીને તેમની પૂછપરછ કરી તલાશી લેવામાં આવી હતી. તેમણે તેમની કમરની આસપાસ કપડામાં ચોવીસ કૅરેટ સોનાના કુલ ૮ કિલોના સોનાના બાર સંતાડ્યા હતા. એ આરોપીઓની પૂછપરછમાં અન્ય બે આરોપીઓનાં નામ બહાર આવ્યાં હતાં. તલાશી લેતાં આ બે આરોપીઓ પાસેથી ૪.૯૮ કરોડના ગોલ્ડ બાર મળી આવ્યા હતા.
જ્યારે એ જ દિવસે અન્ય એક પૅસેન્જર પાસેથી ૨.૦૫ કિલો સોનાના તાર મળી આવ્યા હતા. આ સોનાના તાર તેણે મહિલાનાં ૫૬ પર્સમાં સંતાડ્યા હતા, જેની કિંમત ૧.૨૩ કરોડ અંદાજવામાં આવી છે.