09 September, 2024 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાતી પરિવારના ત્રણ લોકોની હત્યા
મુંબઈ નજીકના પાલઘર જિલ્લાના વાડામાં ગુજરાતી પરિવારના ત્રણ લોકોની હત્યાનો મામલો તાજો છે ત્યાં ગઈ કાલે રાયગડ જિલ્લાના કર્જતમાં નદીકિનારેથી એક જ પરિવારના ત્રણ લોકોના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ગણેશોત્સવમાં જ આ બનાવની જાણ થતાં આખા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ હત્યા છે કે આત્મહત્યા એવો સવાલ પણ લોકોના મનમાં ઊભો થયો છે. રાયગડના નેરળ પોલીસના જણાવ્યા મુજબ કર્જત પાસેના ચિકનપાડામાં એક પરિવાર રહેતો હતો. આ પરિવારનાં પતિ, પત્ની અને પુત્રના મૃતદેહો નદીના કાંઠેથી ગઈ કાલે સવારના મળી આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મૃત્યુ પામનારી મહિલા પ્રેગ્નન્ટ હતી. ત્રણેયના મૃતેદહ અહીંની કલમ નામની નદીના કિનારે પડેલા સ્થાનિક લોકોએ જોયા બાદ પોલીસને જાણ કરી હતી. જીવ ગુમાવનારાઓની ઓળખ નથી થઈ એટલે તેમની માહિતી નેરળ પોલીસ મેળવી રહી છે. તેમણે સામૂહિક રીતે આત્મહત્યા કરી છે કે કોઈકે તેમને મારીને ફેંકી દીધા છે એ જાણવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે.