08 July, 2023 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવે પર બુલઢાણા જિલ્લામાં પહેલી જુલાઈએ થયેલા બસ-અકસ્માતમાં ૨૫ મુસાફરોનાં મોત થયાં હતાં. એ કેસની તપાસમાં હવે એવું બહાર આવ્યું છે કે એ બસ ચલાવનાર ડ્રાઇવર દાનિશ શેખ એ વખતે દારૂની અસર હેઠળ હતો. એ અકસ્માતમાં ડ્રાઇવર, ક્લીનર અને અન્ય પ્રવાસીઓ મળીને કુલ આઠ જણ બચી ગયા હતા. અકસ્માત બાદ ડ્રાઇવર દાનિશની બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવા બદલ ધરપકડ કરાઈ હતી.
એક પોલીસ અધિકારીએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીએ એના અહેવાલમાં કહ્યું છે કે ડ્રાઇવરનાં જે બ્લડ-સૅમ્પલ લીધાં હતાં એમાં .૩૦ ટકા આલ્કોહૉલ હોવાનું જણાઈ આવ્યું છે. જોકે એ બ્લડ-સૅમ્પલ અકસ્માતના ૧૨થી ૧૩ કલાક બાદ લીધા હોવાથી એની માત્રા અકસ્માતના સમયે વધુ હોય એવું બની શકે છે.’
એ અકસ્માતમાં બચી ગયેલા પ્રવાસીઓનું કહેવું હતું કે પહેલાં બસ ઇલેક્ટ્રિકના થાંભલા સાથે અથડાઈ હતી અને ત્યાર બાદ ડિવાઇડર સાથે અથડાઈ હતી. એ પછી એ લેફ્ટ સાઇડમાં રોડ પર પટકાઈ હતી, જેને કારણે દરવાજો નીચેની તરફ જતો રહ્યો હોવાથી પ્રવાસીઓ બસમાંથી બહાર નહોતા આવી શક્યા. કેટલાક પ્રવાસીઓ બારીના કાચ તોડીને બહાર આવ્યા હતા.