સગી માની હત્યા કરનારા નરાધમની ફાંસીની સજા બૉમ્બે HCએ બહાલ રાખી

02 October, 2024 05:35 PM IST  |  Kolhapur | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના કોલ્હાપુરની ૨૦૧૭ની ઘટનામાં ૬૩ વર્ષની માતાએ દારૂ પીવા માટે રૂપિયા ન આપતાં પુત્રે હત્યા કરેલી

બૉમ્બે હાઈ કોર્ટે

સગી માની હત્યા કરીને લિવર-કિડની કાઢ્યા બાદ મીઠું-મરચું ભભરાવીને ભક્ષણ કરનારા નરાધમની ફાંસીની સજા બૉમ્બે હાઈ કોર્ટે બહાલ રાખી

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ૨૦૧૭ની ૨૮ ઑગસ્ટે ૬૩ વર્ષની યલમ્મા રામા કુચકોરવી નામની મહિલાની તેના જ ૩૫ વર્ષના પુત્ર સુનીલે હત્યા કરી નાખી હતી. સગી જનેતાની હત્યા કર્યા બાદ પણ સંતોષ ન થતાં સુનીલે માતાના શરીરના ટુકડા કરવાની સાથે એમાંથી લિવર અને કિડની કાઢી હતી અને બાદમાં એમાં મીઠું-મરચું ભભરાવીને ભક્ષણ પણ કર્યું હોવાનું બાદમાં પોલીસે કરેલી તપાસમાં જણાઈ આવ્યું હતું. દારૂ પીવા માટે માતા રૂપિયા ન આપતી હોવાથી પુત્ર સુનીલે આ હત્યા કરી હતી. અત્યંત ઘાતક અને ચોંકાવનારા આ મામલામાં સ્થાનિક કોર્ટે આરોપીને ૨૦૨૧માં ફાંસીની સજા કરી હતી. આ સજાને બૉમ્બે હાઈ કોર્ટમાં પડકારવામાં આવી હતી. બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવાણની ખંડપીઠે ગઈ કાલે આ મામલામાં સુનીલ કુચકોરવીને ફાંસીની સજા કાયમ રાખવાનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ મોહિતે ડેરેએ ચુકાદો આપતી વખતે કહ્યું હતું કે ‘જીવ ગુમાવનારી મહિલાના શરીરની સ્થિતિ અને આરોપીની ક્રૂરતા પરથી નરભક્ષણનો આ દુર્લભ મામલો છે. આરોપીનો સુધરવાનો કોઈ ચાન્સ નથી. આરોપીએ તેની સગી માતાની હત્યા કરીને તેના શરીરમાંથી દિલ, દિમાગ, કિડની અને લિવર કાઢીને તવા પર મીઠું અને મરચું નાખીને રાંધ્યાં હતાં.’ 

kolhapur maharashtra murder case bombay high court mumbai news news Crime News