25 October, 2024 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મરીન ડ્રાઇવ
મરીન ડ્રાઇવ પર જૂનાં મકાનોના રીડેવલપમેન્ટ માટે ૫૮ મીટરની હાઇટની મંજૂરી આપવાની ગાઇડલાઇન્સ પર બૉમ્બે હાઈ કોર્ટે સ્ટે મૂકી દીધો છે એટલું જ નહીં, બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને મહારાષ્ટ્ર સરકાર આવી ગાઇડલાઇન્સ ઇશ્યુ કઈ રીતે કરી શકે?
આ સંદર્ભે ફેડરેશન ઑફ ચર્ચગેટ રેસિડેન્ટ્સે સરકાર દ્વારા ૨૦૨૩માં જાહેર કરેલી ગાઇડલાઇન્સના વિરોધમાં કરેલી જનહિતની અરજીની સુનાવણીમાં કોર્ટે BMC અને મહારાષ્ટ્ર સરકારને ખખડાવતાં કહ્યું હતું કે ‘તમે કરવા શું માગો છો? તમે આવો નિર્ણય લઈ જ કેમ શકો? કલ્પના તો કરો, તમારા આ ડિસિઝનથી મરીન ડ્રાઇવની આખી સ્કાયલાઇન બદલાઈ જશે.’
મહારાષ્ટ્ર સરકારે ૨૦૨૩માં BMCને ગાઇડલાઇન્સ આપી હતી જેમાં કહ્યું હતું કે ‘મરીન ડ્રાઇવમાં દરિયાની સામે આવેલા બીજી રૉનાં મકાનોના રીડેવલપમેન્ટ વખતે જો મકાનની ઊંચાઈ ૨૪ મીટર કરતાં વધુ કરવી હોય તો એ માટે BMCના કમિશનર પાસેથી પરવાનગી લેવી. BMC કમિશનરને એ હાઇટ ૫૮ મીટર સુધી વધારી આપવાની સત્તા છે.’
ફેડરેશન ઑફ ચર્ચગેટ રેસિડેન્ટ્સ દ્વારા એ બાબતને પડકારતાં કહેવાયું છે કે મરીન ડ્રાઇવનો હેરિટેજ દરજ્જામાં સમાવેશ કરવામાં આવ્યો છે એથી એની એવી જ રીતે જાળવણી થવી જોઈએ. કોર્ટે હવે BMC અને મહારાષ્ટ્ર સરકારને આ બાબતે ૧૧ ડિસેમ્બર સુધી જવાબ નોંધાવવા કહ્યું છે અને હાલમાં એ ગાઇડલાઇન્સના અમલીકરણ પર સ્ટે મૂકી દીધો છે.