19 February, 2024 07:48 AM IST | Mumbai | Sameer Surve
જાગૃતિ અભિયાન
મુલુંડના રહેવાસીઓને દહેશત છે કે તેમની પાડોશનો વિસ્તાર નવું ધારાવી બનવા જઈ રહ્યો છે. આથી તેઓ ઘરે-ઘરે ફરીને અને સોસાયટીઓની મુલાકાત લઈને જાગૃતિ અભિયાન હાથ ધરી રહ્યા છે અને બીએમસીના પ્લૉટ પર ધારાવીના અમુક રહેવાસીઓ અને પ્રોજેક્ટ અસરગ્રસ્ત લોકોનો પુનર્વસવાટ કરવાની સરકારની યોજના સામે ટેકો મેળવી રહ્યા છે. જોકે મુલુંડ-ઈસ્ટમાં આવેલી જમીનના ટુકડાને સોંપવા બાબતે બીએમસીએ કોઈ આખરી નિર્ણય લીધો નથી.
રાજ્યના હાઉસિંગ ડિપાર્ટમેન્ટે ૧૦ જાન્યુઆરીએ બીએમસીના સત્તાધીશોને પત્ર લખી મુલુંડ-ઈસ્ટમાં આવેલી ૬૪ એકર જમીન ધારાવી રીડેવલપમેન્ટ ઑથોરિટી (ડીઆરએ)ને સોંપવા જણાવ્યું હતું. ડીઆરએ અહીં ધારાવીના ત્રણથી ચાર લાખ લોકો જેઓ રીડેવલપમેન્ટ માટે પાત્ર નથી તેમને વસાવવા અહીં રેન્ટલ હાઉસિંગ કૉલોની વિકસાવશે. કુલ ૧૮ એકરની જમીન ઑક્ટ્રૉય નાકા હેઠળ આવે છે, જ્યારે બાકીના હિસ્સામાં ડમ્પિંગ ગ્રાઉન્ડ છે જે હવે બંધ છે. રાજ્યની કૅબિનેટે આ બાબતે ૨૦૨૨માં નિર્ણય લીધો હતો. આ પ્રોજેક્ટની ઔપચારિક દરખાસ્ત તૈયાર કરતાં પહેલાં બીએમસી આ બાબતે રાજ્ય સરકાર સાથે ચર્ચાવિચારણા કરશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.