03 April, 2024 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશિષ શેલાર
૬ એપ્રિલે ભારતીય જનતા પાર્ટી (BJP)નો ૪૫મો સ્થાપનાદિવસ છે અને આવતા મહિને ૨૦ મેએ મુંબઈ સહિત આસપાસમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે એને ધ્યાનમાં રાખીને BJPએ મેગા પ્લાન બનાવ્યો છે. મુંબઈ BJPના અધ્યક્ષ અને બાંદરા વેસ્ટના વિધાનસભ્ય ઍડ્વોકેટ આશિષ શેલારે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાનની પધરામણી બાદ પક્ષનો પહેલો સ્થાપનાદિવસ છે ત્યારે મુંબઈમાં ૪૦૦ જગ્યાએ હિન્દુત્વની ધજા ફરકાવવાની સાથે ૯ એપ્રિલે હિન્દુ નવું વર્ષ ગુઢી પાડવા છે ત્યારે ઘરે-ઘરે ગુઢી ઉભારવાનો વ્યાપક કાર્યક્રમ થશે. આ દિવસે મુંબઈમાં એક વિશાળ હિન્દુ શોભાયાત્રા કાઢવામાં આવશે. વડા પ્રધાને BJPની ૩૭૦ બેઠક મેળવવાનો સંકલ્પ કર્યો છે એને ધ્યાનમાં રાખીને મહાયુતિના મુંબઈના તમામ ઉમેદવારને વિજયી બનાવવા દરેક બૂથમાં ઓછામાં ઓછા ૩૭૦ મત વધારવાના પ્રયાસ કરવામાં આવશે. આ સિવાય ૧૭ એપ્રિલે રામનવમી, ૨૧ એપ્રિલે મહાવીર જયંતી અને ૨૩ એપ્રિલે આવતી હનુમાન જયંતી વખતે વિવિધ કાર્યક્રમોનું પણ મોટા પાયે આયોજન કરવામાં આવશે.’