ગણેશોત્સવમાં લેઝર બીમની લાઇટથી પોલીસ-કૉન્સ્ટેબલની આંખને ઈજા થઈ

10 September, 2024 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તીવ્ર પ્રકાશ પડવાથી આંખની અંદર લોહી નીકળવા માંડ્યુુ એટલે તેને હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવો પડ્યો

પ્રતીકાત્મક તસવીર

ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોમાં લેઝર બીમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ લેઝર લાઇટ આંખમાં સીધી પડે તો ગંભીર ઈજા થઈ શકે છે. રવિવારે કોલ્હાપુરમાં ગણપતિબાપ્પાની મૂર્તિના સરઘસમાં લેઝર બીમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લેઝરની તીવ્ર લાઇટ ડ્યુટી પરના કૉન્સ્ટેબલ યુવરાજ પાટીલની આંખમાં પડતાં એક આંખ લાલઘૂમ થઈ ગઈ હતી અને એમાંથી લોહી નીકળવા માંડતાં તેને હૉસ્પિટલમાં સારવાર માટે ઍડ્‍મિટ કરવો પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આવી જ રીતે કોલ્હાપુરના ઉંચગાવમાં કરવીર તહસીલમાં લેઝર બીમનો પ્રકાશ આંખમાં પડતાં એક યુવકની આંખના રેટિનાને અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તહેવારના સમયમાં ડ્રમ બીટ્સની સાથે લેઝર લાઇટનો છેલ્લા કેટલાક સમયથી ઉપયોગ વધી રહ્યો છે. જોકે લેઝર બીમથી આંખને નુકસાન થાય છે. આંખના ડૉક્ટરોએ લેઝર બીમથી આંખના રેટિનાને ગંભીર અસર થાય છે એટલે લોકોએ એનો ઉપયોગ ન કરવો જોઈએ એવું સૂચન કર્યું છે.

kolhapur mumbai mumbai news maharashtra news