22 October, 2023 08:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ એરપોર્ટ (ફાઈલ ફોટો)
મુંબઈ ઍરપોર્ટ પર બૅગમાં બૉમ્બ હોવાનો પ્રવાસીએ દાવો કરતાં ચિંતા ઊભી થઈ ગઈ હતી અને બીડીડીએસ દ્વારા બૅગની તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે આ એક અફવા છે.
આ ઘટના શુક્રવારે રાતે બની હતી જ્યારે એક મુસાફરને છાતીમાં દુખાવાને કારણે મુંબઈ ઊતરવું પડ્યું હતું. મુંબઈમાં ઊતરતાંની સાથે જ એક પૅસેન્જરે દાવો કર્યો કે તેની બૅગમાં બૉમ્બ છે. એથી આ બાબતને ગંભીરતાથી લેતાં જ્યારે બૅગની તપાસ કરવામાં આવી ત્યારે બૅગમાં કંઈ પણ શંકાસ્પદ મળ્યું ન હોતું. જોકે આ વિશે ઍરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે કે અકાસા ઍર પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ‘અકાસા ઍર ફ્લાઇટે ૨૧ ઑક્ટોબરના રોજ ૧૨.૦૭ વાગ્યે પુણેથી દિલ્હી માટે ઉડાન ભરી હતી અને એમાં ૧૮૫ મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા. ટેક-ઑફ પછી તરત જ સુરક્ષા ચેતવણી મળી હતી. સુરક્ષા પ્રક્રિયાનુસાર વિમાનને મુંબઈ તરફ વાળવામાં આવ્યું હતું.’