એક દિવસમાં જળાશયોમાં ૧૦ દિવસનું પાણી ભેગું થયું

09 September, 2023 08:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં ૯૩ ટકા પાણી જમા થયું છે. વેધશાળાની આગાહી મુજબ જો આ રીતે જ મેઘરાજા વરસતા રહેશે તો પાણીકાપની ચિંતાથી મુંબઈગરા થઈ જશે મુક્ત

ફાઈલ ફોટો


મુંબઈ ઃ એક ​મહિનાના વિરામ બાદ ગુરુવારે તમામ સાત જળાશયોમાં ૧૦૦ એમએમ જેટલા વરસાદના પગલે ૪૧,૦૦૦ મિલ્યન લિટર (એમએલ) પાણીનો સ્ટૉક જમા થયો છે, જે ૧૦ દિવસ માટે પૂરતો છે. આ સ્ટૉક ૯૩ ટકા સુધી પહોંચી ગયો છે. આ વધારો ગુરુવારે નોંધાયેલા વરસાદ તેમ જ પરકોલેશન પ્રક્રિયાને આભારી છે. ઑગસ્ટમાં નહીંવત્ વરસાદ પડ્યો હોવાથી 
ગુરુવારે જ્યારે એક મહિનાના ગૅપ પછી વરસાદ શરૂ થયો ત્યારે જળાશયોમાં ૯૦ ટકા પાણીનો સ્ટૉક હતો, જે ૨૪ કલાકના વરસાદમાં ત્રણ ટકા વધીને ૯૩ ટકા થઈ ગયો છે. જો વેધશાળાની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહ્યો તો મુંબઈગરાએ પાણીકાપનો સામનો નહીં કરવો પડે.
૧ જુલાઈએ બીએમસીએ પાણીમાં ૧૦ ટકાનો કાપ મૂક્યો હતો, પણ 
ભારે વરસાદને પગલે ૩૧ જુલાઈ સુધીમાં ૭૪ ટકા સુધીનો વધારો થયો. આખરે તળાવોમાં ૮૧ ટકાનો સ્ટૉક થતાં ૯ ઑગસ્ટે પાણીનો કાપ પાછો ખેંચવામાં આવ્યો હતો. તુલસી અને વિહાર 
શહેરમાં અંદરની તરફ છે, જ્યારે ભાતસા, તાનસા, અપર વૈતરણા, મિડલ વૈતરણા અને મોડકસાગર બહારની તરફ આવેલાં છે. 
તુલસી ૨૦ જુલાઈએ ઓવરફ્લો થયું, વિહાર અને તાન્સા ૨૬ જુલાઈ, જ્યારે મોડક સાગર ૨૭ જુલાઈએ ભરાઈ ગયું હતું. ગઈ કાલે ભારે વરસાદના પગલે મિડલ વૈતરણાના બે ગેટ ખોલવામાં આવ્યા હતા. તમામ જળાશયોની સંયુક્ત ક્ષમતા ૧૪.૪૭ લાખ એમએલની છે. હાલ આ સ્ટૉક ૧૩.૪૮ લાખ એમએલ છે, જે ગત વર્ષે ૮ સપ્ટેમ્બરે ૧૪.૨૬ લાખ એમએલ હતો.

mumbai rains mumbai monsoon maharashtra news