દેશની નંબર વન મહાનગરપાલિકા પ્રોજેક્ટ‍્સ પૂરા કરવામાં છે રેઢિયાળ

30 August, 2023 03:14 PM IST  |  Mumbai | Sameer Surve

સુધરાઈના કોસ્ટલ રોડ, ગોખલે રોડ બ્રિજ અને ડિલાઇલ રોડ બ્રિજ પ્રોજેક્ટના નિર્માણમાં સુધરાઈએ કેટલીક પ્રેક્ટિકલ સમસ્યાને ગણતરીમાં ન લેતાં એને પૂર્ણ થતાં વિલંબ થઈ રહ્યો છે

વરલી સી-ફેસ પર ચાલી રહેલું કોસ્ટલ રોડનું કામ ગઈ કાલ સુધી બહું આગળ વધ્યું નહોતું (તસવીર : આશિષ રાજે)

સુધરાઈના કોસ્ટલ રોડ, ગોખલે રોડ બ્રિજ અને ડિલાઇલ રોડ બ્રિજ પ્રોજેક્ટના નિર્માણમાં સુધરાઈએ કેટલીક પ્રૅક્ટિકલ સમસ્યાને ગણતરીમાં ન લેતાં એને પૂર્ણ થતાં વધુ વિલંબ થઈ શકે છે. કયાં કારણોથી આ પ્રોજેક્ટની ડેડલાઇન ચૂકી છે એ વિશે ‘મિડ-ડે’એ ખણખોદ કરવાનો પ્રયત્ન કર્યો છે.

કોસ્ટલ રોડ

સુધરાઈએ ડિસેમ્બર ૨૦૧૮માં એનું કામ શરૂ કર્યું હતું. વરલીને નરીમાન પૉઇન્ટ સાથે જોડતો આ ૧૦.૫૮ કિલોમીટરનો માર્ગ ૨૦૦૨માં પૂરો થવાનો હતો, પરંતુ રોગચાળાને કારણે એ શક્ય બન્યું નહોતું. ત્યાર બાદ નવેમ્બર ૨૦૨૩માં એક લેન તૈયાર થવાની હતી. જોકે હવે એ આવતા વર્ષે જ પૂર્ણ થશે. ૭૮ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે સમગ્ર કામ ૨૦૨૪માં પૂર્ણ થશે.

કેમ વિલંબ થયો?

અગાઉ દ​િક્ષણ તરફ જતા ટ્રાફિકને મંજૂરી આપવાની હતી તેમ જ ૨૦૨૪માં બીજી તરફની લેન શરૂ થવાની હતી, પરંતુ બાદમાં ખબર પડી કે જો એક તરફના ટ્રાફિકને મંજૂરી આપવામાં આવે તો નૉર્થ બાઉન્ડના કામ પર અવળી અસર પડશે. વળી ટનલ બોરિંગ મશીનને પણ નુકસાન થયું હતું. 

કનેક્ટરનો મુદ્દો

વરલી તરફ બાંદરા વરલી લિન્કને જોડતા કનેક્ટરનું કામ પણ જૂન ૨૦૨૪માં પૂર્ણ થશે. એનું કારણ ડિઝાઇનમાં થયેલી ફેરબદલ છે. પહેલાં બે થાંભલાઓ વચ્ચે ૬૦ મીટરનું અંતર હતું, પરંતુ માછીમારોના વિરોધને કારણે એ વધારવામાં આવ્યું હતું.

ડિલાઇલ રોડ બ્રિજ

લોઅર પરેલનો ડિલાઇલ રોડ બ્રિજના ગઈ કાલે આ હાલ હતા (તસવીર : આશિષ રાજે)

૨૦૧૮માં બંધ થયેલા લોઅર પરેલના ડિલાઇલ રોડ બ્રિજનું સમગ્ર કામ મે ૨૦૨૨માં પૂર્ણ થાય એવી શક્યતા હતી, પરંતુ ડેડલાઇનને ડિસેમ્બર ૨૦૨૨ અને ત્યાર બાદ મે ૨૦૨૩ સુધી લંબાવાઈ હતી. જૂન ૨૦૨૩માં એક ભાગને ખુલ્લો મુકાયો હતો. સમગ્ર પુલ ઑગસ્ટમાં પૂર્ણ થશે એમ સુધરાઈના અધિકારીએ દાવો કર્યો હતો.

વિલંબ કેમ?

ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનલ પી. વેલારાસુએ કહ્યું હતું કે ઑક્ટોબર મહિનામાં કામ પૂર્ણ થશે. અન્ય એક અધિકારીએ વિલંબનું કારણ જણાવતાં કહ્યું હતું કે ચોમસાને લીધે અને ગ્રેવેલની અછતને કારણે વિલંબ થયો હતો.

ગોખલે રોડ બ્રિજ

અંધેરી-ઈસ્ટ પર નિર્માણાધીન ગોખલે રોડ બ્રિજની ગઈ કાલે લેવાયેલી (તસવીર : અનુરાગ આહિરે)

નવેમ્બર ૨૦૨૨માં સુધરાઈએ અંધેરીનો ઈસ્ટ-વેસ્ટને જોડતો આ પુલ ટ્રાફિક માટે બંધ કર્યો હતો. ૨૦૧૮માં પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. રોગચાળાને કારણે કોઈ કામ થઈ શક્યું નહોતું.

વિલંબ શા માટે?

આ પુલ આ વર્ષે તૈયાર થવાનો હતો, પરંતુ ઈસ્ટ તરફ ૧૩ જેટલાં ગેરકાયદે બાંધકામને કારણે ભારે ગર્ડરોનું કામ થઈ શક્યું નહોતું. કોર્ટના આદેશ મુજબ ચોમાસા બાદ જ ગેરકાયદે બાંધકામને હટાવી શકાય એવો આદેશ છે.

સુધરાઈ ઑક્ટબરમાં એને હટાવશે. વળી ૧૩ પૈકી માત્ર ચાર ઘરો જ કાયદેસર છે. સુધરાઈનું એવું કહેવું છે કે એક તરફનો માર્ગ દિવાળી પહેલાં શરૂ થઈ જશે. સમગ્ર કામ જૂન ૨૦૨૪માં પૂર્ણ થશે.

worli andheri lower parel brihanmumbai municipal corporation mumbai mumbai news