પાંચ માર્ચ સુધી મુંબઈમાં ૧૫ ટકા પાણીકાપઃ બીએમસી

28 February, 2024 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પીસે પમ્પિંગ સ્ટેશનમાં લાગેલી આગ બાદ મુંબઈને મળતું પાણી આંશિક રીતે શરૂ થયું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બીએમસીએ મંગળવારે જણાવ્યું હતું કે ‘શહેરનો પાણીપુરવઠો આંશિક રીતે રીસ્ટોર કરવામાં આવ્યો છે. વાત એમ છે કે પીસે પમ્પિંગ સ્ટેશનમાં આગ ફાટી નીકળી હતી ત્યાં ૨૦માંથી ૧૪ પમ્પ ફરી ઍક્ટિવ કરવામાં આવ્યા છે. સોમવારે સાંજે થાણેમાં પમ્પિંગ સ્ટેશન પર એક ટ્રાન્સફૉર્મરમાં આગ લાગી હતી, જેને કારણે ઈસ્ટર્ન સબર્બ્સના કેટલાગ ભાગ તથા ગોલંજી, ફોસબેરી, રાઓલી અને ભંડારવાડા જળાશયોના પાણીપુરવઠાને અસર થઈ હતી.’

આગને કારણે સુધરાઈએ શહેર અને ઈસ્ટર્ન સબર્બ્સના કેટલાક ભાગોમાં ૩૦થી ૧૦૦ ટકા પાણીકાપ મૂક્યો હતો. બીએમસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શહેરમાં પાણીપુરવઠો પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ૨૦માંથી આઠ પમ્પ સવારના ચાર વાગ્યા સુધીમાં શરૂ કરવામાં આવ્યા હતા અને ગોલંજી, રાવલી, ફોસબેરી અને ભંડારવાડા સેવા જળાશયોમાંથી ઓછા દબાણે પુરવઠો ફરી શરૂ થયો હતો અને ૧૧ વાગ્યા સુધીમાં વધુ ૬ પમ્પ શરૂ કરવામાં આવ્યા હતા.

પીસે પમ્પિંગ સ્ટેશનનાં બે ટ્રાન્સફૉર્મર અને ૧૫ પમ્પ ચાલુ થઈ ગયાં છે, પણ ત્રીજું ટ્રાન્સફૉર્મર ચાલુ કરવામાં સમય લાગશે અને એ પાંચમી માર્ચ સુધીમાં ચાલુ થવાની શક્યતા છે. એથી ગઈ કાલ રાતથી જ મુંબઈ સિટી સહિત ઈસ્ટર્ન અને વેસ્ટર્ન સબર્બ્સમાં પાંચમી માર્ચ સુધી ૧૫ ટકા પાણીકાપ લાગુ કરાયો છે. આ ઉપરાંત થાણે સિટી, ભિવંડી અને એમએમઆર રીજનમાં જ્યાં પણ મુંબઈની મેઇન પાઇપલાઇન નંબર બે અને ત્રણથી પાણી પૂરું પાડવામાં આવે છે એ બધા જ વિસ્તારોને આ પંદર ટકા પાણીકાપ લાગુ પડશે એમ બીએમસી દ્વારા જણાવાયું છે.    

mumbai news mumbai Water Cut mumbai water levels brihanmumbai municipal corporation