સંજય રાઉત પર ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો

02 April, 2023 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વિરોધમાં વાંધાજનક નિવેદન કરવા બદલ છત્રપતિ સંભાજીનગરના નેતાએ નોટિસ મોકલી

સંજય રાઉત


મુંબઈ ઃ ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉત સામે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની વારંવાર બદનામી કરવા બદલ ૧૦૦ કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ મોકલવામાં આવી છે. છત્રપતિ સંભાજીનગરના ‘લોકનેતે એકનાથ સંભાજી શિંદે ફાઉન્ડેશન’ના અધ્યક્ષ વિનાયક લોખંડેએ પોતાના વકીલ મારફત સંજય રાઉતને આ નોટિસ મોકલી હોવાનું જાણવા મળ્યું હતું.
રાજ્યમાં સત્તા-પરિવર્તન બાદ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા એકબીજા પર સતત આરોપ-પ્રત્યારોપ કરાઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર અનેક ગંભીર આરોપ કર્યા છે અને તેમની ખરાબ ભાષામાં આકરી ટીકા પણ કરી છે. 
સંજય રાઉત દરરોજ કોઈ પણ પુરાવા કે બીજાં તથ્યો વગર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની બદનામી કરી રહ્યા છે એ વાતને ગંભીરતાથી લઈને છત્રપતિ સંભાજીનગરમાં રહેતા ‘લોકનેતે એકનાથ સંભાજી શિંદે ફાઉન્ડેશન’ના અધ્યક્ષ વિનાયક લોખંડેએ તેમના વકીલ દ્વારા સંજય રાઉત પર ૧૦૦ કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ પાઠવી છે. નોટિસમાં નોંધવામાં આવ્યું છે કે સંજય રાઉતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ખુશામત કરનારા કહ્યા છે. તેમના આવા નિવેદનથી એકનાથ શિંદેની છબિ ખરડાઈ છે અને સમાજ પર એની અસર થઈ રહી છે. એટલું જ નહીં, ટીવી-અખબારોમાં પણ સંજય રાઉતનાં નિવેદનો પ્રકાશિત થાય છે.
સંજય રાઉતે બીજેપી જ રાજ્યમાં રમખાણ કરાવી રહી હોવાનો આરોપ કર્યો છે. બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ આ વિશે કહ્યું હતું કે ‘સંજય રાઉતનું આ ઉશ્કેરણીજનક નિવેદન છે. અગાઉ પણ તેઓ આવાં નિવેદનો કરી ચૂક્યા છે. તેઓ રાજ્યમાં સામાજિક વાતાવરણ ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે.’
દારૂના નશામાં સંજય રાઉતને ધમકી અપાઈ
દિલ્લી મેં મિલ તૂ, એકે ૪૭ સે ઉડા દૂંગા; મૂસેવાલા જૈસે. લૉરેન્સ કી ઔર સે મેસેજ હૈ, સોચ લે. સલમાન ઔર તૂ ફિક્સ. 
રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને આવી ધમકી મળ્યા બાદ તેમણે મુંબઈના કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે ફરિયાદ નોંધાવી હતી. નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ વિશે કહ્યું હતું કે ‘મુંબઈ અને પુણે પોલીસે ધમકી આપવાના મામલામાં પુણેના ખરાડી વિસ્તારમાંથી ૨૦ વર્ષના એક યુવકની ધરપકડ કરી હતી. દારૂના નશામાં તેણે ધમકી આપી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. આ યુવાને સંજય રાઉતને શા માટે ધમકી આપી એની પોલીસ તપાસ કરી રહી છે એટલે તપાસ પૂરી થયા બાદ જ ખ્યાલ આવશે. રાજ્યમાં કોઈ કોઈને પણ ધમકી આપશે તો સરકાર અને પોલીસ શાંત નહીં બેસે. ધમકી આપનારી વ્યક્તિ કોઈ પણ હોય તેની સામે કાર્યવાહી થશે.’
સંભાજીનગરમાં રમખાણ ઇમ્તિયાઝ જલીલે કરાવ્યાં?
રામનવમીની આગલી રાતે છત્રપતિ સંભાજીનગરમાં થયેલાં રમખાણોની પાછળ એમઆઇએમના સાંસદ ઇમ્તિયાઝ જલીલ હોવાનો આરોપ શિવસેનાના વિધાનસભ્ય સંજય સિરસાટે કરતાં ખળભળાટ મચી ગયો છે. સંજય સિરસાટે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘કિરાડપુરામાં જ્યારે પોલીસ અને સ્થાનિક લોકોનાં વાહનોને આગ ચંપાઈ હતી અને પથ્થરમારો કરાયો હતો ત્યારે ઇમ્તિયાઝ જલીલ શું કરતા હતા? આ રમખાણો કોણે કરાવ્યાં એ બધા જાણે છે. લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા ત્યારે ઘટનાસ્થળે હાજર ઇમ્તિયાઝ જલીલને કેટલાક લોકોએ જ બચાવ્યા હતા. જૈસી કરણી વૈસી ભરણી. આ વિસ્તારમાં બીજા મુસ્લિમ નેતાઓ પણ રહે છે. તેઓ કેમ આ રમખાણ વિશે કંઈ બોલતા નથી?’ 

mumbai news sanjay raut shiv sena