27 November, 2023 12:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિઝા માટેની પ્રતીકાત્મક તસવીર
મલેશિયાએ ભારતીય નાગરિકોને એક મહિના માટે વિઝા વિના દેશમાં પ્રવેશવાની સુવિધા (Visa Free Entry) આપી છે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે રવિવારે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત અને ચીનના નાગરિકોને 1 ડિસેમ્બરથી મલેશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે.
વડા પ્રધાન અનવરે રવિવારે પુત્રજયામાં તેમની પીપલ્સ જસ્ટિસ પાર્ટીના વાર્ષિક કાર્યક્રમમાં આ મુદ્દે જણાવ્યું હતું કે ચીની અને ભારતીય નાગરિકો 30 દિવસ સુધી વિઝા વિના (Visa Free Entry) મલેશિયામાં રહી શકે છે. મલેશિયા પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે આવું પગલું ભરી રહ્યું છે.
વાસ્તવમાં મલેશિયાની સરકાર દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવાની યોજના પર કામ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશોએ પણ ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રી (Visa Free Entry)ની જાહેરાત કરી હતી.
ચીને પણ મલેશિયાના નાગરિકોને આપી ભેટ
અનવરે ગયા મહિને ભારત અને ચીનના પ્રવાસીઓ અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા આવતા વર્ષે વિઝા સુવિધાઓ સુધારવાની યોજના જાહેર કરી હતી. આ સાથે જ ચીને મલેશિયાના નાગરિકોને પણ ભેટ આપી છે. ચીન દ્વારા શુક્રવારે આ મુદ્દે જણાવાયું હતું કે તે મલેશિયા સહિત છ દેશોના નાગરિકોને વિઝા વિના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપશે. આ પગલું 1 ડિસેમ્બરથી લાગુ થશે અને આવતા વર્ષે 30 નવેમ્બર સુધી ચાલશે. પ્રવાસીઓ 15 દિવસ સુધી ચીનમાં વિઝા વિના (Visa Free Entry) રહી શકશે.
વિયેતનામ પણ આવી જ કોઈ જાહેરાત કરી શકે
પ્રાપ્ત માહિતી અનુસાર એવા સમાચાર સામે આવી રહ્યા છે કે વિયેતનામ પણ ભારતના પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રી શરૂ કરી શકે છે. હાલમાં જર્મની, ફ્રાન્સ, ઈટાલી, સ્પેન, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડ જેવા દેશોના નાગરિકો વિઝા વગર વિયેતનામમાં પ્રવેશ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં થાઈલેન્ડે પણ ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રી (Visa Free Entry)ની જાહેરાત કરી હતી.
વિયેતનામની સંસ્કૃતિ, રમતગમત (Sports) અને પર્યટન મંત્રી ગુયેન વાન હંગે પ્રવાસનને સુધારવા માટે ચીન અને ભારત જેવા મોટા બજારો માટે ટૂંકા ગાળાના વિઝા ફ્રી માટે જણાવવામાં આવી રહ્યું છે. મૂળ તો પ્રવાસન ઉદ્યોગને વેગ મળે એ જ આ પગલાં પાછળનો ઉદ્દેશ છે.
અગાઉ પોતાની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે થાઈલેન્ડે ભારત અને તાઈવાનના નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રી (Visa Free Entry)ની જાહેરાત કરી હતી. ભારતીયો 10 નવેમ્બર, 2023થી 10 મે, 2024 સુધી વિઝા વિના થાઈલેન્ડની મુલાકાત લઈ શકે છે અને ત્યાં 30 દિવસ રહી શકે છે. પ્રવાસન સીઝન પહેલા લેવાયેલા આ નિર્ણયથી થાઈલેન્ડ વધુ પ્રવાસીઓને આકર્ષે તેવી અપેક્ષા છે.