Tahawwur Rana: 26/11ના મુંબઈ હુમલાના આરોપીના ભારત પ્રત્યાર્પણ પર રોક લાગી

22 August, 2023 08:54 AM IST  |  California | Gujarati Mid-day Online Correspondent

26/11ના મુંબઈ (Mumbai 26/11 Attack)આતંકી હુમલાના આરોપી પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણા (Tahawwur Rana)ના ભારતને પ્રત્યાર્પણ પર રોક લગાવી દેવામાં આવી છે.

ફાઈલ ફોટો

ભારત માટે એક ખરાબ સમાચાર છે. 26/11ના મુંબઈ (Mumbai 26/11 Attack)આતંકી હુમલાના આરોપી પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણા (Tahawwur Rana)ના ભારતને પ્રત્યાર્પણ પર રોક લગાવી દેવામાં આવી છે. અમેરિકાની એક અદાલતે બિડેન વહીવટીતંત્રની અપીલને ફગાવીને આ આદેશ આપ્યો છે.

આ કારણે લાગી રોક

હકીકતમાં, 2 ઓગસ્ટના રોજ, અમેરિકન શહેર કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ જજ ડેલ એસ. ફિશરે રાણાની હેબિયસ કોર્પસ રિટ પિટિશનને ફગાવી દીધી હતી. આ આદેશ સામે તેણે નવમી સર્કિટ કોર્ટમાં અપીલ કરી હતી કે સુનાવણી સુધી તેને ભારતને સોંપવામાં ન આવે.

18 ઓગસ્ટે નવો ઓર્ડર

આ અંગે જિલ્લા ન્યાયાધીશ ડેલ એસ. ફિશરે 18 ઓગસ્ટના રોજ નવો ઓર્ડર જારી કર્યો હતો. તેમણે કહ્યું કે રાણાના પ્રત્યાર્પણ પર સ્ટે માંગતી એક્સ-પાર્ટી અરજીને મંજૂરી છે. તેમણે સરકારની ભલામણોને પણ ફગાવી દીધી હતી કે રાણાના પ્રત્યાર્પણ પર કોઈ સ્ટે ન હોવો જોઈએ. ન્યાયાધીશે કહ્યું કે રાણાના ભારત પ્રત્યાર્પણ પર નવમી સર્કિટ કોર્ટ સમક્ષની તેની અપીલની પૂર્ણાહુતિ બાકી છે.

આ સમગ્ર મામલો છે

26 નવેમ્બર 2008 ના રોજ મુંબઈમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં તેની ભૂમિકા માટે ભારતે તેના પ્રત્યાર્પણની વિનંતી કર્યા પછી રાણાની યુએસમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) 2008માં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા 26/11ના હુમલામાં રાણાની ભૂમિકાની તપાસ કરી રહી છે. NIAએ કહ્યું કે તે રાણાને ભારત પરત લાવવા માટે રાજદ્વારી માધ્યમો દ્વારા કાર્યવાહી શરૂ કરવા તૈયાર છે. ભારતે 10 જૂન, 2020 ના રોજ ફરિયાદ નોંધાવી, પ્રત્યાર્પણના દૃષ્ટિકોણથી 62 વર્ષીય રાણાની કામચલાઉ ધરપકડની માંગ કરી. બિડેન વહીવટીતંત્રે રાણાના ભારતમાં પ્રત્યાર્પણને સમર્થન આપ્યું હતું.

હેડલીને મદદ કરવામાં આવી હતી

કોર્ટની સુનાવણી દરમિયાન, યુએસ સરકારના વકીલોએ દલીલ કરી હતી કે તહવ્વુર રાણા જાણતો હતો કે તેનો બાળપણનો મિત્ર પાકિસ્તાની-અમેરિકન ડેવિડ કોલમેન હેડલી લશ્કર-એ-તૈયબામાં સામેલ હતો. આમ છતાં રાણાએ હેડલીને મદદ કરી હતી. રાણા એ પણ જાણતો હતો કે હેડલી હુમલાની યોજના ઘડી રહ્યો હતો અને આ રીતે હેડલીને મદદ કરીને અને તેની પ્રવૃત્તિઓ માટે કવર પૂરું પાડીને આતંકવાદી સંગઠન અને તેના સહયોગીઓને મદદ કરી હતી.

26/11 attacks mumbai news taj hotel california united states of america